ભાવનગર જિલ્લા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાનનું ફ્લેગ ઓફ કરીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
ભાવનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે અને સાથે સાથે ગ્રાહકોમાં પણ પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો ખરીદવામાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત પોતાના ઉત્પાદન જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ઉમરાળા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત ધ્વારા પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, આત્મા કચેરી, ભાવનગર, કૃષિ અને બાગાયત વિભાગ, ભાવનગર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને સરકારશ્રીની યોજનામાં સહાયથી પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ ભાવનગર જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે.
વધુમાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ વાન ખેડૂતો માટે પ્રેરણા રૂપ થશે જેથી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન બજારમાં વહેચવા માટે માર્ગદર્શન મળશે. વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધે એ માટે વહીવટી તંત્ર, આત્મા વિભાગ અને ખેતીવાડી વિભાગ પ્રયત્નશીલ છે. પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન નવતર પહેલ છે જેનાથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન મળશે.
પ્રાકૃતિક ખેતી કરતા ઉમરાળા તાલુકા વડોદ ગામના ખેડૂત સંજયસિંહ ગોહિલ દ્વારા પોતાના ખેતરમાં છેલ્લા ૬ વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે તે ઉત્પાદન થયેલ શાકભાજી જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે પ્રાકૃતિક કૃષિ મોબાઈલ વાન તૈયાર કરવામાં આવી છે. જેનું જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી દ્વારા મોબાઇલ વાનને ફ્લેગ ઓફ કરવામાં આવેલ હતું. આ તકે નાયબ બાગાયત નિયામક એમ.બી. વાઘમશી, મદદનીશ ખેતી નિયામક સી.કે સાંખટ, ખેતી અધિકારી એચ. આર. ડુમાણીયા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ખેડૂતોની ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયતના પટાંગણમાંથી પ્રાકૃતિક કૃષિ મોબાઇલ વાન સમગ્ર ભાવનગર જિલ્લા માટે ખુલ્લો મુકવામાં આવ્યું હતું.




