સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય “સેન્ટર સ્ટેટ સાયન્સ એન્ડ ટેક્નોલોજી મિનિસ્ટર્સ કોન્ક્લેવ”નું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૧૦.૩૦ કલાકે વર્ચ્યુઅલી આ બે દિવસીય કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ કોન્ક્લેવની માહિતી આપતા જણાવ્યુ છે કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આગામી તા.૧૦ અને ૧૧ સપ્ટેમ્બર સાયન્સ સિટી, અમદાવાદ ખાતે બે દિવસીય કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યુ છે. STI વિઝન ૨૦૪૭ સાથે પ્રથમ વખત યોજાઇ રહેલી આ કોન્ક્લેવ અંતર્ગત “અનુસંધાન સે સમાધાન”ની ટેગ લાઇન સાથે વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સંબંધિત નવી ટેક્નોલોજી અને “જીવનની સરળતા”પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૧ સપ્ટેમ્બરે કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આ કોન્ક્લેવના સમાપન સમારોહમાં હાજરી આપશે.
ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જેમાં અભિનેતા અજય દેવગણ પણ જોડાશે.