ભાવનગર વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈ શેઠ તથા દાતા પરિવારના પારૂલબેન અચ્યુતભાઈ મહેતાના વરદ્ હસ્તે નંદાલય હવેલીના પ.પૂ. આનંદબાવાના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું.
વૃધ્ધાશ્રમના પ્રમુખ નીલાબેન ઓઝાએ નવા બિલડીંગ અંગેની વિગતવાર માહિતી આપી હતી. અને જણાવ્યું હતું કે સૌ ટ્રસ્ટીઓના સહિયારા પ્રયાસથી અમો આ અઘરું કામ કરી શકયા છીએ. તેમણે જણાવ્યું હતું કે આજે ત્રિવેણી સંગમ છે. વિશ્વ યોગ દિવસ, ફાધર્સ-ડે અને વૃધ્ધાશ્રમના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન. મુંબઈના વિલસન પેન વાળા દુલારીબેનનું ખૂબજ મોટુ આર્થિક યોગદાન મળ્યું છે. ત્યારબાદ વૃધ્ધાશ્રમના સ્થાપક ટ્રસ્ટી હર્ષદભાઈએ જણાવ્યું હતું કે આ ૫૦ વર્ષ જુના થઈ ગયેલ વૃધ્ધાશ્રમની જગ્યાએ નવુ આધુનિક વૃધ્ધાશ્રમ બનવું જોઈએ એ મારૂ ઘણા સમયથી સ્વપ્ન હતું. આજે તે સાકાર થવા જઈ રહ્યું છે તેનો મને ખૂબજ આનંદ છે. મારી જીંદગીનો આ સર્વશ્રેષ્ઠ દિવસ છે તેમ તેમણે જણાવ્યું હતું. તેઓ પોતાની જુવાનીથી માંડીને આજે વૃધ્ધાવસ્થા સુધી આ વૃધ્ધાશ્રમ સાથે જોડાયેલા છે અને તેમનું સમગ્ર જીવન વૃધ્ધાશ્રમને સમર્પિત કરી દીધુ છે.
નંદાલય હવેલીના પ.પૂ. ગોસ્વામી આનંદબાવાએ જણાવ્યું હતું કે ભાવનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. વડીલોના આશરા માટેની આ શ્રેષ્ઠ સંસ્થા છે. ભાવનગર વૃધ્ધાશ્રમ એ ગુજરાતના આદર્શ વૃધ્ધાશ્રમો માનું એક છે. આ વૃધ્ધાશ્રમમાં ૫૦ વર્ષો દરમિયાન અનેક વૃધ્ધ-વડીલોએ આશરો લીધો હશે તે તમામના આશીર્વાદ ટ્રસ્ટીગણને મળી રહ્યા છે. આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે જીવનમાં આવતી ચાર અવસ્થાઓનો સ્વિકાર કરવો જોઈએ. પ્રભુ ગોવર્ધનનાથજીના ચરણોમાં વિનંતી છે કે ૫૦ વર્ષોથી ચાલતી આ સંસ્થા હજુ વધુ ર૦૦ વર્ષ સુધી ચાલતી રહે અને નિરાધાર વડીલોનો આશરો બનતી રહે.
વૃધ્ધાશ્રમના સહમંત્રી દેવેનભાઈ શેઠએ જણાવ્યું હતું કે અમોને વડીલોની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ આધુનિક સગવડતાવાળું વૃધ્ધાશ્રમ બનાવ્યું છે. અહી વસવાટ કરનાર તમામ વડીલોના અમોને આશીર્વાદ મળશે. આવુ આધુનિક સગવડતાવાળુ વૃધ્ધાશ્રમ બનાવવા અમારે ૧૫ કરોડ રૂપિયાનો ખર્ચ હતો, જે એક પડકારરૂપ હતો, પરંતુ ઈશ્વર કૃપાથી અમોને માત્ર ૩ મહિનામાં જ આ માટેનું ડોનેશન પ્રાપ્ત થઈ ગયુ હતું.
ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાને જયા પણ તેમની જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની ખાત્રી આપી હતી. કાર્યક્રમના અંતમા મંત્રી બુધાભાઈ પટેલએ આભારવિધિ કરતા જણાવ્યું હતું કે બધાના સહીયારા પ્રયાસથી આ નવું સુંદર મજાનું વૃધ્ધાશ્રમનું બિલ્ડીંગ બની શકયું છે. તેઓએ તમામ ટ્રસ્ટીગણ, સંસ્થાના તમામ કર્મચારીગણ તથા મકાનના બાંધકામમાં આર્કીટેકટ મચ્છર સ્ટ્રકચરલ એન્જિનીયર અતુલભાઈ વોરા તથા કમલેશભાઈ ડોડીયાનો આભાર વ્યક્ત કર્યો હતો. નવા બિલ્ડીંગના તમામ નાના-મોટા કામો સંભાળનાર સંસ્થાના કર્મચારી રાજેશભાઈનો પણ ખાસ આભાર માન્યો હતો.આ ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર ભા.જ.પા. પ્રમુખ કુમારભાઈ શાહ, મેયર ઉષાબેન, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, અનેક દાતાઓ, શહેરના ઉદ્યોગપતિઓ તથા મહાનુભાવો હાજર રહ્યા હતા.





