ભાવનગર,તા.૬
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ગુજરાતની નામાંકિત સંસ્થા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે “ભાવનગરની નિકાસ ક્ષમતા” અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવેલ. કાર્યક્રમના પ્રારંભમાં એ.એમ.એ.ના સીનીયર મેનેજર દેવાંગભાઈ દેસાઈએ. સંસ્થાની પ્રવૃતિઓ વિષે વિસ્તૃત જાણકારી આપેલ.
સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ તેજસભાઈ શેઠએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવેલ કે એક્સપોર્ટ ક્ષેત્રે ભાવનગર દિન પ્રતિદિન પ્રગતી કરી રહ્યું છે તેનો પ્રત્યક્ષ પુરાવો આજના આ કાર્યક્રમની વિશાળ મેદની છે. સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે સતત અને સઘન પ્રયત્નો કરે છે અને તે માટે દર વર્ષે નિષ્ણાંતોને નિમંત્રિત કરી ઓછામાં ઓછા ૪ થી ૫ સેમિનારોનું આયોજન કરે છે. હજૂ આ દિશામાં ચેમ્બર સતત પ્રયત્નશીલ રહેશે કારણ કે એક્સપોર્ટનું પ્રમાણ વધે તો દેશને કિમતી હૂંડિયામણ મળે અને સાથે સાથે ભાવનગરનાં વિકાસને પણ ગતિ મળે.
આ પ્રસંગે નિષ્ણાંત વક્તા રાજનભાઈ ત્રિવેદીએ માહિતી આપતા જણાવેલ કે ભાવનગર ખાતેની પ્રોડક્ટ વિશેષતા જેવી કે એગ્રીકલ્ચર, ફૂડઝ પ્રોડક્ટ, કાસ્ટિંગ, શીપ મશીનરી વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવનગરનું એક્ષ્પોર્ટ ક્ષેત્રે હાલમાં કેટલું યોગદાન અને ભવિષ્યમાં કેટલી તકો રહેલી છે તે વિષે માહિતી આપેલ. સરકાર તરફથી એક્ષ્પોર્ટ માટે મળતી સેવાઓ અને સુવિધાઓ, તેમાય ખાસ કરીને એમએસએમઈને ક્યા પ્રકારનાં વિશેષ પ્રોત્સાહનો મળે છે તે અંગે તથા આવનાર સમયમાં ભાવનગરને મળનાર એક્ષ્પોર્ટને લગતી અધ્યત્તન સુવિધાઓ વગેરે બાબતોનો અભ્યાસ કરીને ભાવનગર ખાતેથી એક્ષ્પોર્ટ કરવા માટે ઘણી તકો ઉપલબ્ધ હોવાનું જણાવેલ. વિશેષમાં જણાવેલ કે પ્રોડક્ટ ખુબ જ સારી હોય પરંતુ એક્ષ્પોર્ટ અંગેનું પૂરતું નોલેજ ન હોય તો પણ ઘણીવાર મુશ્કેલીઓ આવતી હોય છે ટૂંકમાં એક્ષ્પોર્ટ-ઈમ્પોર્ટ કરતા પહેલા કઈ કઈ બાબતોની કાળજી રાખવી તેમજ ભાવનગર ખાતે રહેલ એક્ષ્પોર્ટ તકો વિષે ખુબ જ સારી જાણકારી આપેલ.કાર્યક્રમનાં અંતે રાખવામાં આવેલ પ્રશ્નોત્તરી શેશનમાં ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છુક વ્યક્તિઓએ તેમને મુંઝવતા પ્રશ્નો રજુ કરેલ જે અંગે વક્તા દ્વારા સંતોષકારક માર્ગદર્શન આપવામાં આવેલ. આ પ્રસંગે ચેમ્બરનાં માનદ્દ મંત્રી જીગ્નેશભાઈ સવાણી, માનદ્દ ખજાનચી નિલેશભાઈ નાણાવટી, મેનેજીંગ કમિટીનાં સભ્યો તથા વિશાળ સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છુક વ્યક્તિઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સુપેરે સંચાલન ચેમ્બરની મેનેજીંગ કમિટીનાં સભ્ય હિતેશભાઈ રાજ્યગુરુ દ્વારા જ્યારે કાર્યક્રમનાં અંતે આભારવિધિ ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવેલ.






