ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વહીવટી વડા તરીકેની વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે આજે પોતાના જન્મદિવસની સાદગીપૂર્વક ઉજવણી કરી છે. રાજકારણમાં અત્યંત સરળ, વિનમ્ર અને મૃદુ મિજાજ ધરાવતા મુખ્યમંત્રીના જન્મદિવસને સમગ્ર રાજ્યમાં લોકકલ્યાણ અને જનસેવાના પર્વ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. કોઈ પણ જાતના દેખાડા કે પ્રચાર વિના હંમેશા કાર્યનિષ્ઠાને પ્રાધાન્ય આપતા સીએમએ આ ખાસ દિવસે ગાંધીનગર નજીક અડાલજ ખાતે આવેલા પ્રખ્યાત ત્રિમંદિરની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન અને સીમંધર સ્વામી સમક્ષ શ્રદ્ધાપૂર્વક નમન કરી પૂજા-અર્ચના કરી હતી. તેમણે અંતરપૂર્વક પ્રાર્થના કરીને ગુજરાતની સાડા છ કરોડ જનતાની સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિ માટે આશીર્વાદ માંગ્યા હતા. આ પ્રસંગે તેમણે દાદા ફાઉન્ડેશનના વડા પૂજ્ય દીપકભાઈની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી, જ્યાં પૂજ્ય દીપકભાઈએ તેમને આશીર્વચન પાઠવ્યા હતા. આ આધ્યાત્મિક ઉર્જા સાથે મુખ્યમંત્રીએ રાજ્યના વણથંભ્યા વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો.પોતાની વહીવટી સૂઝબૂઝથી જનજનના હૃદયમાં સ્થાન મેળવનારા સીએમ ત્રિમંદિરે દર્શન કર્યા બાદ તુરંત જ સચિવાલય ખાતે પહોંચ્યા હતા અને પૂર્વ નિર્ધારિત સરકારી બેઠકો તેમજ લોકસેવાના કાર્યોમાં પુનઃ સક્રિય થઈ ગયા હતા.
વડાપ્રધાન મોદી અને સાથી મંત્રીઓએ પાઠવી શુભેચ્છાઓ
મુખ્યમંત્રીના જન્મદિવસ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખાસ ટ્વીટ અને ટેલિફોનિક વાતચીત દ્વારા દીર્ધાયુ અને તંદુરસ્ત જીવનની મંગલકામનાઓ પાઠવી હતી. આ સાથે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ગુજરાતના મંત્રીઓ તરફથી પણ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નાગરિકો તેમના સંવેદનશીલ નેતૃત્વની સરાહના કરી રહ્યા છે.




