સમગ્ર ગોહિલવાડમાં આજે અષાઢી દૂજના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. “જય જય જગન્નાથ” અને “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’”ના ગગનભેદી ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે નગરજનોને દર્શન આપવા ૧૮ કિલોમીટરની પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા છે. સુભાષનગર ખાતે આવેલા નિજ મંદિરેથી ભગવાનની રથયાત્રા પ્રસ્થાન થતાં જ ભાવિક ભક્તોમાં અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગુજરાત રાજ્યની બીજા નંબરની સૌથી મોટી ગણાતી ભાવનગરની આ ૪૧મી રથયાત્રાનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે થયો હતો. સુભાષનગર ભગવાનના મંદિર સામે રથની પૂજા-અર્ચન કર્યા બાદ પહિંદ વિધિ યોજાઈ હતી. કેબિનેટ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ઉપસ્થિત સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ અવસરે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા તેમજ સુપ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારી બાપુએ ભગવાન જગન્નાથજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને લોક કલ્યાણ તેમજ વિશ્વ શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

રથયાત્રાના પ્રારંભે દેશની રક્ષા કરનારા માજી સૈનિકોએ ભગવાનને ગરિમાપૂર્ણ સલામી આપી હતી. પરંપરાગત રીતે આ વર્ષે પણ ભોઈ સમાજના ઉત્સાહી યુવાનો દ્વારા દોરડા વડે ભગવાનના યાંત્રિક રથને ખેંચવામાં આવી રહ્યો છે. રથયાત્રા નિજ મંદિરેથી પ્રસ્થાન થયા બાદ મહિલા કોલેજ સર્કલથી વિવિધ આકર્ષક ફ્લોટ્સ આ યાત્રામાં જોડાયા હતા. સમગ્ર રૂટ પર ચોક્કસ થીમ આધારિત ફ્લોટ્સના ટ્રકો ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



રથયાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ભાવનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે આધુનિક અને હાઈટેક સાધનો-ઉપકરણોનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. રથયાત્રાની સુરક્ષા અને વ્યવસ્થામાં ફોરેસ્ટ, આરોગ્ય તેમજ ફાયર બ્રિગેડનો સ્ટાફ, પી.જી.વી.સી.એલ., ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ, બ્લેક કમાન્ડો, ઘોડેસવાર પોલીસ, તેમજ બી.એસ.એફ. (BSF) અને સી.આર.પી.એફ. (CRPF) ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. આ રથયાત્રા પોતાના નિર્ધારિત રૂટો પર ફરીને મોડી રાત્રે નિજ મંદિર પરત ફરશે.

આ મંગલકારી શુભારંભ પ્રસંગે ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ લાધવા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઈ મહેતા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહ અને જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. વહીવટી તંત્રમાંથી પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી, મહાનગરપાલિકા કમિશનર ડૉ. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે, એમ.કે.બી. યુનિવર્સિટીના કુલપતિ તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને કોર્પોરેટરોએ હાજર રહી દર્શનનો લાભ લીધો હતો.






