લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા તથા કલ્પસર સહયોગ સમિતિ ગુજરાત દ્વારા કલ્પસર કર્મયોગી વિનુભાઈ ગાંધીનો અભિનવ સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષસ્થાને રહેલાં જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ દ્વારા જણાવાયું કે, કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર પ્રદેશ બનશે.
વૈશ્વિક કક્ષાએ નોંધનીય બનનાર કલ્પસર યોજના માટે સક્રીય વિચારક અને માર્ગદર્શક વિનુભાઈ ગાંધીનો ગરિમાપૂર્ણ અભિનવ સન્માન સમારોહ લોકભારતી સણોસરામાં જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ નાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
મંત્રી સી. આર. પાટીલ દ્વારા ઉદબોધનમાં જણાવાયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિકસિત ભારત ૨૦૪૭ અભિગમમાં પાણી સંગ્રહ અને તેની યોજનાઓ કેન્દ્રમાં રહેલી છે. કલ્પસર સાકાર થયે સૌરાષ્ટ્ર પ્રદેશ દેશમાં સૌથી વધુ પાણીદાર અને હરિયાળો પ્રદેશ બનશે. કેન્દ્ર સરકાર દ્વારા પીવાના પાણી તથા સિંચાઈ સંબંધી આંકડાકીય સ્થિતિ અને ઉપલબ્ધિઓ જણાવી સાથે જણાવ્યું હતું કે પાણી વાપરવું આપણો અધિકાર પરંતુ ધરતી માતાનું એ ઋણ છે, જે ચૂકવવું આપણી ફરજ છે જળસંગ્રહ માટે ભારપૂર્વક અનુરોધ કરી કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે સન્માનિત વિનુભાઈ ગાંધી દ્વારા કલ્પસર માટેના અભિયાન કાર્યોને વંદન કરીને પાણી સંગ્રહ સાથેની આ વિરાટ બહુહેતુક યોજના અંગે સરકાર ખૂબ સક્રિય હોવાની વાત જણાવી હતી.
સન્માનિત વિનુભાઈ ગાંધીએ અગાઉ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલ્પસર માટે કરાયેલ સંકલ્પ હવે સાકાર થશે તેવી આશા વ્યક્ત કરી અને ઉમેર્યું કે ખંભાતનો અખાત વિસ્તાર એ પ્રકૃતિએ આપણને આપેલી મોટી ભેટ છે, જ્યાં કલ્પસર સાકાર થશે.
કલ્પસર સહયોગ સમિતિ દ્વારા પુરષોત્તમભાઈ કમાણી અને મહાનુભાવોના હસ્તે આ સન્માન અર્પણ થયું હતું. આ સન્માનમાં મળેલ રૂપિયા ૧૧,૧૧,૧૧૧ રકમમાં રૂપિયા ૧૧,૧૧૧ ઉમેરીને આ પ્રવૃત્તિને સહયોગી બનવા આ રાશિ સન્માનિત વિનુભાઈ ગાંધીએ પરત અર્પણ કરી હતી.
પ્રારંભે જીવરાજભાઈ સુરાણી (ધારૂકાવાળા) તથા લોકભારતી સંસ્થાના વડા અને લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના હસ્તે દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અરુણભાઈ દવેએ પ્રાસંગિક ભૂમિકા આપતાં સમગ્ર વિશ્વ માટે નમૂનો બનનાર કલ્પસર યોજના એ આપણું સદભાગ્ય ગણાવ્યું હતું. તેઓએ લોકભારતી દ્વારા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની કામગીરીનો ઉલ્લેખ કરી વૈશ્વિક કક્ષાએ લોકભારતીની ભૂમિકા જણાવી અને જળ સંગ્રહ, ગૌ સંવર્ધન, કૃષિ સંશોધન વગેરેની વાત ઉમેરી હતી.
આ પ્રસંગે સન્માન પત્રનું વાચન લોકભારતી વિશ્વવિદ્યાલયના વિશાલભાઈ ભાદાણીએ કર્યું હતું.અભિનવ સન્માન સમારોહ પ્રસંગે અગ્રણીઓ બેચરભાઈ ભાદાણી, ધનરાજભાઈ કૈલા, કમલનયનભાઈ સોજીત્રા અને દિલીપભાઈ સખિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.




