બિહારની રાજધાની પટનામાં વિવિધ પડતર માંગણીઓને લઈને વિદ્યાર્થીઓનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. વિદ્યાર્થીઓની વિશાળ માર્ચ આગળ વધીને જેપી ગોલંબર પહોંચતા જ વાતાવરણ ગરમાયું હતું. સ્થિતિને કાબૂમાં લેવા માટે ત્યાં પહેલાથી જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ બેરિકેડ્સ પર ચડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ડાક બંગલા ચોક તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને ભારે તણાવનો માહોલ સર્જાયો છે.અને પોલીસ તથા સીઆરપીએફ સાથે ઘર્ષણ થયું છે.
ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓના સંદર્ભમાં આ પ્રદર્શનની જાહેરાત કરી હતી. આ મુદ્દે સોમવારે વિદ્યાર્થી નેતાઓની શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે આશરે બે કલાક સુધી લાંબી બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ગાંધી બાગ ધરણા સ્થળે પહોંચેલા વિદ્યાર્થી નેતા સૌરભસિંહે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી કે, શિક્ષણ વિભાગે તેમની કેટલીક માંગણીઓ સ્વીકારીને આશ્વાસન આપ્યું છે, પરંતુ મુખ્ય માંગણીઓ હજુ પણ પડતર છે. પરિણામે, વિદ્યાર્થી નેતાઓએ અગાઉથી નક્કી કરાયેલા મુખ્યમંત્રી આવાસના ઘેરાવનો કાર્યક્રમ રદ્દ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
વિદ્યાર્થી નેતા સૌરભસિંહે તમામ અભ્યાર્થીઓને સવારે 11 વાગ્યા સુધીમાં ગાંધી મેદાનના ગેટ નંબર 10 પર એકઠા થવાની અપીલ કરી હતી. ત્યાંથી વિદ્યાર્થીઓએ મુખ્યમંત્રી આવાસ તરફ કૂચ શરૂ કરી હતી. વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી સરકાર તમામ માંગણીઓ પૂર્ણ પણે નહીં સ્વીકારે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. હાલમાં જેપી ગોલંબર પર પોલીસે ભારે બેરિકેડિંગ કરીને વિદ્યાર્થીઓને આગળ વધતા રોકવાના તમામ પ્રયાસો હાથ ધર્યા છે, પરંતુ પ્રદર્શનકારીઓ કાયદો હાથમાં લઈને આગળ વધવા માટે મક્કમ દેખાઈ રહ્યા છે.
તમામ મુદ્દાઓનું સમાધાન કરી દેવામાં આવ્યું છે- શિક્ષણ મંત્રી
વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન પર બિહારના શિક્ષણ મંત્રી મિથિલેશ તિવારીએ કહ્યું કે, જે-જે મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા હતા, તેમના તમામ મુદ્દાઓનું સમાધાન કરી દેવામાં આવ્યું છે. સરકારની નિયતિ જ છે કે આપણે આપણા યુવાનોની સમસ્યાઓનું સમયસર ઉકેલ લાવીએ. યુવાનો જે-જે વિષયો લઈને આવ્યા, અમે તેનું સમાધાન કર્યું છે.


