નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે આવેલા અચાનક પૂરથી નેપાળના રસૂવા સહિત ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ. પૂર અને ભૂસ્ખલનથી બંને દેશોમાં અત્યાર સુધીમાં 475 જેટલા લોકોના મોત થયા છે, અને મૃત્યુ આંક 500 નજીક છે.જ્યારે લગભગ 1,400 લોકો હજુ પણ ગુમ છે. આમાં લગભગ 290 ભારતીયો પણ સામેલ છે.
પૂરનું પાણી તિબેટ તરફથી નેપાળમાં આવ્યું હતું અને હવે જે તળાવમાં પાણી જમા છે, તેના ફરીથી તૂટવાથી ફરી પૂર આવવાનું જોખમ યથાવત છે.
ચીને જણાવ્યું છે કે રસૂવાગઢી બોર્ડરથી 18 કિમી ઉપર તિબેટની લ્હેંદે નદીમાં એક નવી બેરિયર તળાવ બની ગયું છે. તળાવ લગભગ 0.11 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. તેમાં લગભગ 200 કરોડ લિટર પાણી જમા છે. આગામી 3 દિવસમાં 300 કરોડ લિટર વધુ પાણી આવી શકે છે.
ચીન-નેપાળ સરહદ પર આવેલા ગ્યિરોંગ કાઉન્ટીમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડવાનું અનુમાન છે. આ વિસ્તાર તાજેતરના ભૂસ્ખલનથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અધિકારીઓએ આગળ પણ ભૂસ્ખલન અને પૂરનો ભય વ્યક્ત કર્યો છે.ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલયે અગાઉ ચેતવણી આપી હતી કે નેપાળમાં ભૂસ્ખલનના કારણે બનેલી અસ્થાયી બંધ જેવી સંરચના તૂટી શકે છે. તેની પાછળ એક તળાવ બની રહ્યું છે. જો આ સંરચના તૂટશે તો નીચાણવાળા વિસ્તારોમાં ફરીથી પૂર આવી શકે છે.
પૂર બાદ 90 જેટલા અમેરિકી નાગરિકો ગુમ
નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં વિનાશક અચાનક આવેલા પૂર બાદ લગભગ 90 અમેરિકી નાગરિકોની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.અમેરિકી વિદેશ વિભાગે જણાવ્યું કે તેમને કોઈ અમેરિકી નાગરિકના મોતની માહિતી મળી નથી. તો બીજી તરફ, 3 અમેરિકી નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે.
ગુમ અમેરિકી નાગરિકોમાંથી ઘણા લોકો તિબેટમાં કૈલાશ પર્વતની તીર્થયાત્રા પર ગયા હતા. કૈલાશ પર્વત હિન્દુ, બૌદ્ધ અને અન્ય ધર્મોના લોકો માટે પવિત્ર માનવામાં આવે છે. ગુમ લોકોમાં 32 દેશોના 700 થી વધુ વિદેશી નાગરિકો સામેલ છે. નેપાળ ટુરિઝમ બોર્ડના જણાવ્યા અનુસાર, તેમાંથી ઓછામાં ઓછા 517 વિદેશી નાગરિકો નેપાળમાં લાપતા છે. જ્યારે ચીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર 260 લોકો ચીનમાં લાપતા છે.
2500 ગ્લેશિયર સરોવરો કોઈપણ સમયે તબાહી સર્જી શકે છે
ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 27 પ્રદેશો કુદરતી આપત્તિઓની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ છે. હિમાલય ક્ષેત્રમાં આવેલી 2500થી વધુ ગ્લેશિયર સરોવરો જોખમી સ્થિતિમાં છે, જ્યારે 400થી વધુ ગ્લેશિયર ઝડપથી પીગળી રહ્યા છે. આ સરોવરો ફાટવાથી આવતા વિનાશક પૂરના જોખમનું મૂલ્યાંકન કરવાની ટેકનોલોજી તો બની ગઈ છે, પરંતુ લોકોના જાનમાલનું રક્ષણ કરવું હજુ પણ મોટો પડકાર છે. તાજેતરમાં નેપાળની ભોટેકોશી નદીમાં ગ્લેશિયર તળાવ ફાટવાને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ગૃહ મંત્રાલયની સંસદીય સમિતિના 261મા અહેવાલમાં જણાવાયું છે કે નદીના પટમાં ગેરકાયદે દબાણો અને યોગ્ય આયોજનના અભાવે પૂરનું નુકસાન સતત વધી રહ્યું છે.






