રશિયાનાં એક ડ્રોન હુમલામા બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોહ્નસન માંડ માંડ બચી ગયા હતાં. રશિયાનું એક ડ્રોન યુક્રેન પોલેન્ડ સરહદે એક ટ્રેનથી ટકરાઇ ગયું હતું. આ ટ્રેનથી પહેલા આ લાઇનમાંથી અન્ય એક ટ્રેન પસાર થઇ હતી જેમાં બોરિસ જોહ્નસન અને અન્ય રાજદ્વારી સવાર હતાં.
યુક્રેન અને નાટો સભ્ય પોલેન્ડની સરહદે રશિયન ડ્રોન પેસેન્જર ટ્રેન સાથે ટકરાયું હતું. જેના કારણે ટ્રેનને થોડું નુકસાન થયું હતું. જો કે જાનમાલનાં નુકસાનનાં કોઇ સમાચાર મળ્યા નથી. આ ટ્રેનનાં થોડાક જ સમય પહેલા બ્રિટનનાં પૂર્વ વડાપ્રધાન બોરિસ જોહ્નસન, સ્વીડનનાં પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટ અને અન્ય યુરોપિયન રાજદ્વારીઓને લઇ જઇ રહેલી એક ડિપ્લોમેટિક ટ્રેન ત્યાંથી પસાર થઇ હતી. સ્વીડનનાં પૂર્વ વડાપ્રધાન કાર્લ બિલ્ડટે એક્સ પર જણાવ્યું છે કે આ અમારી ટ્રેન ન હતી પણ અમારા પછી પસાર થયેલી ટ્રેન હતી. ડ્રોન નજીક આવતા પહેલા જ ટ્રેનને ખાલી કરી દેવામાં આવી હતી અને કોઇને ઇજા થઇ નથી. તે અને અન્ય નેતા યુક્રેનની રાજધાની કીવમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થયા પછી યુરોપ પરત જઇ રહ્યાં હતાં. બોરિસ જોહ્નસને ઇન્સ્ટાગ્રામ પણ આ હુમલાને કારણ વગરનો ગણાવ્યો હતો.
યુદ્ધમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે રશિયા અને યુક્રેન બંનેએ લાંબા અંતરનાં હુમલા વધારી દીધા છે. ક્રેમલિને આ ઘટના અંગે નિવેદન જારી કરતા જણાવ્યું છે કે યુક્રેન-પોલેન્ડ સરહદેથી પસાર થતી ટ્રેન પર ડ્રોન હુમલો કરવામાં આવ્યા પછી રશિયન સેના સમગ્ર યુક્રેનમાં કાર્યવાહી કરશે. આ ઘટના અંગે ફ્રાન્સનાં વિદેશ પ્રધાન જીન નોએલ બેરોટે જણાવ્યું છે કે યુક્રેન પોલેન્ડ સરહદે એક ટ્રેન પર રશિયન હુમલાનો ઉદ્દેશ યુરોપનાં લોકોને ડરાવવા અને તેમનામાં ફૂટ પડાવવાનો છે.






