આજથી ગુજરાત વિધાનસભાના બે દિવસીય ટૂંકા સત્રની શરૂઆત થઈ છે. આ સત્રમાં વરસાદથી રસ્તા અને ખેતીને થયેલા નુકસાન અંગે ચર્ચા કરશે તેમજ ઢોર નિયંત્રણ બિલ આજે પરત ખેંચાશે.
ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશ સાથે પરત કરવાની જાહેરાત થશે. જે પહેલાં ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ પાછુ ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ મુકવામાં આવશે. આ પ્રસ્તાવ શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા લાવશે. સાથે સત્ર દરમિયાન ત્રણ સરકારી વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે, જેમાં ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ વિધેયક રજૂ થશે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ અગાઉ જ રખડતા ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચાશે તેવો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. આ બિલને કાયદો બનાવવા માટે તેણે રાજ્યપાલ પાસે સહી કરવા મોકલવામાં આવ્યું હતું. જ્યાર બાદ રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે તેવા સંકેત આપવામાં આવ્યા હતા. રાજ્યપાલે બિલ પુનઃવિચારણા માટે મોકલ્યું હતું કે જેનો સીધો અર્થ એ થયો હતો કે વિધાનસભા સત્રમાં આ બિલ આજે પરત ખેંચાશે.
સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે
પ્રથમ દિવસે કુલ ૪ સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે. રાજ્ય સરકાર રખડતાં ઢોર નિવારણ કાયદો આજે પરત ખેંચશે. માલધારી સમાજની માંગને ધ્યાનમાં રાખી સરકારે અગાઉ આ જાહેરાત કરી હતી.