વડોદરાનાં કપુરાઇ બ્રિજ નેશનલ હાઇવે પર રાજસ્થાન ભીલવાડાથી મુંબઈ જતી બસનો ટ્રેલર સાથે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં 6 મુસાફરોના સ્થળ પર જ મૃત્યુ થયા છે જ્યારે 13 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઓવરટેક કરતી વેળાએ ઘઉં ભરેલા ટ્રેલર સાથે બસનો ગંભીર અકસ્માત સર્જાયો છે.
જોકે આ અકસ્માત બાદ ટ્રેલરચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. આ ટ્રેલરમાં ઘઉં ભર્યા હતા. હાલમાં આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાઇવે પર રફ ડ્રાઇવિંગ કરતા બસ ચાલકો અંગે વારંવાર ફરિયાદ થઇ છે. આ અકસ્માતમાં બસના પતરા કાપીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા છે. બસ કેટલી સ્પીડમાં હશે અને તે ટ્રક સાથે પણ કેવી ધડાકાભેર અથડાઇ હશે. જેના કારણે બસનો કુચડો બોલી ગયો હતો.
આ અકસ્માત વહેલી સવારે થયો છે. ઓવરટેક કરવાની લ્હાયમાં મુસાફરોએ જીવ ખોવવાનો વારો આવ્યો છે. ડ્રાઇવરની એક ભૂલના કારણે ડ્રાઇવર સહિત 6 લોકોને ઘટનાસ્થળે જ કાળ ભરખી ગયો. જ્યારે 13 લોકો તો હજુ પણ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે.