પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેશે. કેદારનાથમાં સવારે લગભગ 8:30 વાગ્યે તેઓ કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9 વાગે કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ તેઓ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:25 વાગ્યે મંદાકિની આસ્થાપથ અને સરસ્વતી આસ્થાપથ પર વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી બદ્રીનાથ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. બપોરે 12 વાગ્યે રિવરફ્રન્ટનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે, ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આગમન પ્લાઝા અને તળાવોનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે
કેદારનાથમાં રોપ-વે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે, જેનાથી બંને સ્થળો વચ્ચેનો પ્રવાસનો સમય હાલમાં 6-7 કલાકથી ઘટીને માત્ર 30 મિનિટનો થઈ જશે. હેમકુંડ રોપ-વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિ.મી. લાંબો હશે અને મુસાફરીનો સમય એક દિવસથી વધુ ઘટાડીને માત્ર ૪૫ મિનિટ કરશે. આ રોપ-વે ઘાંગરિયાને પણ જોડશે, જે વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે. આશરે રૂ.2,430 કરોડના સંચિત ખર્ચે વિકસાવવામાં આવેલા આ રોપ-વેઝ પરિવહનનું પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે, જે પરિવહનનું સલામત, સુરક્ષિત અને સ્થિર માધ્યમ પ્રદાન કરશે. આ મુખ્ય માળખાગત વિકાસથી ધાર્મિક પર્યટનને વેગ મળશે, જે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારીની અનેક તકોનું સર્જન કરવા તરફ દોરી જશે.