મોરબીની મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ તૂટી પડતા આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. NDRF, આર્મી, ફાયર બ્રિગેડની ટીમ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. નેવી અને એરફોર્સની ટીમ પણ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ છે. નદીમાં કીચડ હોવાથી મૃતદેહ શોધવામાં મુશ્કેલીઓ પડી રહી છે. મોડી રાતથી મચ્છુમાં સર્ચ યથાવત્ છે.
જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો
મોરબી નગરપાલિકાએ હેન્ગિંગ બ્રિજના રિનોવેશનની કામગીરી છ મહિના પહેલાં જ ઓરેવા કંપનીને સોંપાઈ હતી. જેના રિનોવેશન બાદ ગત 26 ઓક્ટોબરે પુલને ખુલ્લો મૂકાયો હતો. આ પુલને ખુલ્લો મૂકતા પૂર્વે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું અને ઓરેવા કંપનીએ મજબૂત કેબલ અને સ્ટીલનો ઉપયોગ કરીને પુલનું રિનોવેશન કરી કયું હોવાની સુફિયાણી વાતો કરી હતી અને ત્યારબાદ ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલની હાજરીમાં પુલને ખુલ્લો મૂકાયો હતો. આ વાત જગજાહેર હવા છતા પાલિકાના ચીફ ઓફિસરે પાયાવિહોણું નિવેદન આપ્યું છે.
ઓરેવા ગ્રુપે મૌન સીવી લીધું
પુલના રીનોવેશન બાદ ફીટનેસનું સર્ટિફિકેટ લેવામાં આવ્યું કે કેમ ? પુલની મજબૂતાઈ સહીતના વિવિધ ટેસ્ટ કરાયા હશે કે કેમ? આ મામલે મોટી બેદરકારી જવાબદાર હોવાનું લાગી રહ્યું છે અને કંપની દ્વારા કરવામાં આવેલ મજબૂતીના દાવા પોકળ સાબિત થયા છે. આથી અસરગ્રસ્તો આ ઘટનામાં ઓરેવાને જવાબદાર ગણી પગલાં ભરવા માંગ ઊઠાવી રહ્યા છે. પુલના ભારની ક્ષમતા કે કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વગર આડેધડ ટીકીટ ફાળવી દેતા વજનને લઇને પુલ તુંટી પડ્યો હતો. સમારકામ કરનારી કંપનીએ ડિઝાઈનમાં ગંભીર ભૂલો કરી હોઈ શકે? અને મૂળ ડિઝાઈનમાં મોટી છેડછાડએ જ પુલની જળસમાધીનું કારણ બની હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હાલ આ મામલે ઓરેવા ગ્રુપે મૌન સીવી લેતા તેની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. આ ગંભીર બેદરકારી બદલ કંપની કે નગરપાલિકાના જવાબદારોને પણ સજા કરાશે કે કેમ? આવા અનેક પ્રશ્નો અત્યારે ઉઠ્યા છે.