મચ્છુ નદી ફરી એક વાર મોતની નદી પુરવાર થઈ છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલ ઝૂલતો પૂલ તૂટતા હાહાકાર મચ્યો છે. 5 દિવસ પહેલા જ નવા વર્ષે ખુલ્લો મુકાયેલો બ્રિજ આજે તૂટી પડતાં 141 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે. જ્યારે આંકડો ઘણો મોટો હોવાની ચર્ચા ઘટનાસ્થળે થઈ રહી છે. મૃતદેહ શોધવા માટે મચ્છુ નદી ખાલી કરવામાં અંગે તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ દુર્ઘટનામાં એક પછી એક તંત્રની ભુલો સામે આવી રહી છે. જેના કારણે આ અકસ્માત થયો તેની જવાબદારી મુદ્દે હવે સ્થાનિક તંત્ર અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. જો કે સરકાર દ્વારા હાલ તો રાહત અને બચાવકામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોરબી નગરપાલિકાના ચીફ ઓફીસર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. ચીફ ઓફીસર દ્વારા દાવો કરવામાં આવ્યો કે, સ્થાનિક તંત્ર કે પાલિકાને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા આ બ્રિજનું ઇન્સપેક્શન પણ કરવામાં આવ્યું નહોતું. આ અંગેનું ફિટનેસ સર્ટિફિકેટ પણ આ ટ્રસ્ટ પાસે નહોતું. ફિટનેસ સર્ટિફિકેટ વગર જ બ્રિજ ઉતાવળમાં ખુલ્લો મુકી દેવાયો છે. સ્થાનિક તંત્રને જાણ કર્યા વગર જ આ બ્રિજ ખુલ્લો મુકી દેવામાં આવ્યો હતો.