અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટી બનાવવાના મુદ્દાને લઈને મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપે ગુજરાત ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ કમિટીની રચના પોતાના ખોટા નિર્ણયો અને નિષ્ફળતાઓને છૂપાવવા માટે કર્યું છે.
બીજી બાજુ ગુજરાતમાં થનારી ચૂંટણી પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ નાગરિકતાને લઈને મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતના બે જિલ્લાઓ આણંદ અને મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવશે. આ અંગે પણ ઓવૈસીએ નિવેદન આપતા કહ્યું કે આમ પહેલેથી થઈ રહ્યું છે કે તમે પહેલા લાંબા ગાળાના વિઝા આપો અને પછી તેમને (અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાય) નાગરિકતા મળી જાય. તમારે (સરકાર) આ કાયદાને ધર્મ તટસ્થ બનાવવો જોઈએ. સીએએને એનપીઆર અને એનઆરસી સાથે જોડવો જોઈએ. સુપ્રીમ કોર્ટ તેના પર સુનાવણી કરી રહી છે. જોઈએ શું થાય છે.
આ અગાઉ પણ ઓવૈસીએ શનિવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મત મેળવવા માટે અને પોતાના હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવા માટે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. ગુજરાત સરકારે કહ્યું હતું કે તેઓ સમાન નાગરિક સંહિતા (UCC) લાગૂ કરવા માટે એક સમિતિ બનાવી રહ્યા છે. રાજ્ય મંત્રીમંડળની શનિવારે બેઠક થઈ તે દરમિયાન સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવી.