ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા દિવાળી પહેલા ભાવનગર ખાતે ક્ષત્રિય યુવા સંમેલન યોજવામાં આવ્યા બાદ આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની મહિલાઓમાં રાજકીય ક્ષેત્ર અને મતદાન અંગે જાગૃતિ આવે તે માટે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સહિતના રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપે તેવી માંગણી કરવામાં આવી છે.
છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજની ઉપેક્ષા કરતા હોવાની લાગણી સાથે ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા છેલ્લા કેટલાક મહિનાથી રાજકીય ક્ષેત્રે સમાજનું મહત્વ અને પ્રતિનિધિત્વ વધે તે માટે તબક્કાવાર ચિંતન બેઠકો યોજવામાં આવી હતી,આ ઉપરાંત દિવાળી પહેલા ભાવનગર ખાતે યુવા ક્ષત્રિય સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાની સાત વિધાનસભા બેઠકોના પરિણામમાં ક્ષત્રિય સમાજનું મતદાન મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે ભાજપ સહિતના રાજકીય પક્ષો ક્ષત્રિય સમાજને વધુમાં વધુ પ્રતિનિધિત્વ આપે તેવી લાગણી અને માંગણી કરવામાં આવી છે.
ગોહિલવાડ રાજપૂત સમાજ દ્વારા અગાઉ ચિંતન શિબિર અને સંમેલન યોજવામાં આવ્યા બાદ સમાજની મહિલાઓમાં પણ જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આગામી દિવસોમાં ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજનું સંમેલન યોજવાનું આયોજન હાથ ધરાયું છે.
આજે ભાવનગર ખાતે ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ અને મહિલા સમાજના પ્રમુખ ભૂમિબા ચુડાસમાની આગેવાની હેઠળ મહિલા રાજપૂત સમાજ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં આગામી દિવસોમાં મહિલા સંમેલનના આયોજન અંગે માહિતી આપવામાં આવી હતી.