ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પર ટિકિટ ના આપતા નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવે અપક્ષમાં ફોર્મ ભર્યુ છે. આ દરમિયાન મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ કે, તે કોઇનાથી ડરતા નથી.
મધુ શ્રીવાસ્તવે ફોર્મ ભર્યા બાદ કાર્યકરોને સંબોધતા કહ્યુ કે, “આ બાહુબલી હજુ જીવે છે, કોઇ તમારો કોલર પકડે તો તેના ઘરે જઇને ગોળી ન મારૂ તો મધુ શ્રીવાસ્તવ નહી, જેને લડવું હોય તે મેદાનમાં આવી જાય, કોઇનાથી ડરવાની જરૂર નથી. ભારત આઝાદ છે, કોઇ ધમકી આપતુ હોય કે આ કરીશ, તે કરીશ. આપણે કોઇની ચિંતા કરવાની જરૂર નથી.”
વધુમાં મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, વાઘોડિયામાં જે ગેરકાયદેસર મકાન છે તેને કાયદેસર કરી આપીશ આ મારૂ વચન છે.
ભાજપે મધુ શ્રીવાસ્તવને વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ના આપતા નારાજ હતા. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે સીઆર પાટિલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓએ ઘણી મહેનત કરી હતી પણ મધુ શ્રીવાસ્તવ માન્યા નહતા. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ તે રોષે ભરાયા હતા અને કાર્યકરો સાથે ભાજપના તમામ પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ.
ભાજપે ટિકિટ ના આપતા મધુ શ્રીવાસ્તવ નારાજ હતા અને રેલી કાઢીને મધુ શ્રીવાસ્તવ ઉમેદવારી ફોર્મ ભરવા પહોચ્યા હતા. વડોદરાના હનુમાન મંદિરથી દર્શન કરીને મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા પહોચ્યા હતા. મધુ શ્રીવાસ્તવે ભાજપ પર આરોપ લગાવતા કહ્યુ હતુ કે, ભાજપે મારી ટિકિટ કાપીને મારૂ અપમાન કર્યુ છે અને મારા સમર્થકોના કહેવાથી અપક્ષ ચૂંટણીમાં ઉતર્યો હોવાનું જણાવ્યુ છે. કાર્યકરોએ કહ્યુ કે, અપમાનના આધારે તમે ચૂંટણી લડો અમે તમારી સાથે છીએ.