દિલ્હીમાં શ્રદ્ધા હત્યાની પીડાને લોકો ભૂલી શક્યા નથી અને હવે છત્તીસગઢમાં આવો જ વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં પાગલ પ્રેમી તેની પ્રેમિકાને રાયપુરથી 200 કિમી દૂર લઈ ગયો અને ઓરિસ્સામાં તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. આ સાથે યુવતીની લાશને જંગલમાં ફેંકી દીધી. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઓડિશા પોલીસ ટૂંક સમયમાં આનો ખુલાસો કરી શકે છે. આખરે પાગલ પ્રેમીએ કેવી રીતે તેની પ્રેમિકાની હત્યા કરી ?
છત્તીસગઢના કોરબા જિલ્લાની રહેવાસી તનુ કુરે રાયપુરની એક ખાનગી બેંકમાં નોકરી કરતી હતી. દરમિયાન તેની ઓળખ બાલાંગિરના વેપારી સચિન અગ્રવાલ સાથે થઈ હતી. બંને વચ્ચેની ઓળખાણ ધીરે-ધીરે પ્રેમમાં બદલાઈ ગઈ પરંતુ તનુને ખબર નહોતી કે સચિન તેને મારી નાખશે. 21 નવેમ્બરના રોજ તનુનો ફોન સ્વીચ ઓફ હોવાથી પરિવારના સભ્યો તેની સાથે વાત કરી શક્યા ન હતા. ગભરાયેલા સંબંધીઓ રાયપુર પહોંચ્યા અને અહીંના પાંડરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ બાદ પણ સચિન તનુના પરિવારના સભ્યોના સંપર્કમાં રહ્યો હતો. તે પરિવારના સભ્યોને ખાતરી આપતો રહ્યો કે, તનુ અને તેના જલ્દી લગ્ન થશે. તેનો સ્ક્રીનશોટ પરિવારના સભ્યોને પણ બતાવવામાં આવ્યો હતો જેથી પરિવારના સભ્યોને લાગે કે તનુ જીવિત છે, પરંતુ સચિને તનુને ગોળી મારી હત્યા કરી દીધી અને તનુની લાશને બાલાંગિરના જંગલમાં પેટ્રોલ નાખીને ફેંકી દીધી. જેથી પોલીસ તેની ઓળખ કરી શકી ન હતી. અહીં ઓરિસ્સા પોલીસને તનુનો મૃતદેહ મળ્યો અને રાયપુર પોલીસ અને ઓરિસ્સા પોલીસ વચ્ચે સંપર્ક થયો. ત્યારબાદ પરિજનોએ લાશની ઓળખ કરી હતી.
રાયપુરના એસએસપી પ્રશાંત અગ્રવાલે જણાવ્યું કે, છોકરો અને છોકરી એકબીજાને પહેલાથી જ ઓળખતા હતા. થોડા દિવસો પહેલા યુવતીના પરિવારજનોએ પાંડરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, છોકરો અને છોકરી એકસાથે ઓડિશા ગયા હતા. ઓરિસ્સામાં છોકરાએ છોકરીને ફરવા લઈ જવાના બહાને મારી નાખી. છોકરાની પૂછપરછમાં ખબર પડી કે છોકરી તેના સિવાય બીજા કોઈને ડેટ કરી રહી હતી. તેથી જ તેણે હત્યાની વાત કહી છે. બાળકીનો મૃતદેહ ઓરિસ્સાના બાલાંગિરમાંથી મળી આવ્યો છે અને આરોપીની ઓરિસ્સા પોલીસે ધરપકડ કરી લીધી છે.