ચૂંટણી પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ ગુજરાત પર વધુ ફોકસ કર્યુ હતું અને અહીથી જ ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ મહેનત પીએમ મોદીને ફળી છે. કારણ કે, વ્યારામાં આઝાદી બાદ પહેલીવાર કમળ ખીલ્યું છે. આઝાદી બાદથી અથાગ મહેનત છતાં ભાજપને ક્યારેય વ્યારામાં બહુમત મળી ન હતી. ભાજપ હંમેશાથી વ્યારામાં સત્તાથી દૂર રહી હતી. પરંતું 2022 ની ચૂંટણીમાં પરિવર્તન થયું છે, અને વ્યારામાં ભાજપે જીતનો સ્વાદ ચાખ્યો છે.
વ્યારા 171 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણી 22 રાઉન્ડના અંતે 22120 લીડથી જીત્યા છે. ખાસ વાત તો એ છે કે, વ્યારામા કોંગ્રેસના ઉમેદવાર હાંસિયામાં ધકેલાયા છે. આઝાદી બાદ ભાજપે પ્રથમવાર જીત કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે. પરંતું વ્યારા બેઠક પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે રહી છે. મોહન કોંકણીએ આપના બિપીનચંદ્ર ચૌધરીને હરાવ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા ક્રમે રહ્યાં છે.
વ્યારા વિધાનસભા બેઠક પરથી ભાજપની ચૂંટણી લડવાની વાત કરીએ તો, ભાજપ છેક 1990થી અત્યાર સુધીમાં યોજાયેલી તમામ વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદવારને વ્યારા બેઠક પરથી ચૂંટણીનાં મેદાનમાં ઉતારી ચૂક્યું છે. જોકે ભાજપને ગુજરાતમાં 27 વર્ષનાં શાસન બાદ પણ વ્યારા બેઠક પર હજુ સુધી જીતનો સ્વાદ ચાખવા મળ્યો નથી.