આજ સુધી કોઈને નથી મળ્યા એટલો પ્રેમ અને આશીર્વાદ મને મળ્યા છે. આપ સૌએ પ્રતિનિધિ તરીકે ફરી એકવાર મને તક આપીને આપ સહુએ મારી જવાબદારી વધારી છે અને આ જવાબદારીનો હું પૂરી નિષ્ઠાથી સમજદારીથી સ્વીકાર કરું છું. આપ સૌએ જે મારા પર, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ટીમ પર જે વિશ્વાસ મૂક્યો છે તે સહેજે ઉણો નહીં ઉતરે તેની ખાતરી રાખજાે. તેમ જણાવી ભાવનગર પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે જંગી બહુમતીથી અને આ વિસ્તારમાં ત્રીજી વખત જીતીને નવો વિક્રમ હેટ્રિક સર્જનાર જીતુભાઈ વાઘાણીએ પોતાની જીતને એક જવાબદારી સમજી સહુનો આભાર માન્યો હતો અને ઋણ સ્વીકાર કર્યો હતો. જીતુભાઈની ભવ્ય જીત બાદ ઋણ સ્વીકાર યાત્રા નીકળી હતી જે પણ જીત જેટલી જ ભવ્ય અને વિશાળ રહી હતી. રંગદર્શી માહોલમાં સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં કલાકો સુધી આ યાત્રા ફરી હતી.
આ પ્રસંગે મીડિયા સમક્ષ વાત કરતા જીતુભાઈ એ જણાવ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી મહાપર્વ છે અને લોકો અહીં જ પક્ષના મૂલ્યો અને તમારા કામની કસોટી અહીં લેતા હોય છે. લોકોએ જે રીતે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્યો છે તે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી પર લોકોના વિશ્વાસ અને પાર્ટીના મૂલ્યો પરનો વિશ્વાસનો પડઘો છે. ભાજપ છે તો વિકાસ છે, ભાજપ છે તો શાંતિ સલામતી સુરક્ષા છે તેવી શ્રદ્ધાનો આ પ્રતિઘોષ છે અને હું આ ભારતીય જનતા પાર્ટીનો એક નાનકડો કાર્યકર છું. મને ભાવનગરના પ્રતિનિધિ તરીકે ચુંટીને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે મારી જવાબદારીમાં વધારો કરનાર છે.
ગત દસ વર્ષ દરમિયાન મારાથી પણ નાની મોટી ભૂલો થઈ હશે, ચૂંટણીના આ દિવસો દરમિયાન પણ કોઈનું દિલ મારાથી દુભાયું હશે, કોઈને અજાણતા દુઃખ પણ પહોંચાડ્યું હશે તો તે માટે ખરા હૃદયથી માફી માગું છું. આ બધા જ ને ભૂલી સહુએ જે પ્રેમ આપ્યો છે તે માટે હું નત મસ્તક છું. આ સાથે કહું છું કે વિશ્વાસ રાખજાે તમારો જીતુ વાઘાણી તમારા આ વિશ્વાસમાં તમારા આ પ્રેમમાં ખરો ઉતરવા પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરશે. વિકસિત ભાવનગર- આપણા સપનાનું ભાવનગર બનાવવા માટે ઘણું કરવાનું છે ત્યારે આ દિશામાં આગળ વધી શકું તેવા આશીર્વાદ આપજાે – શુભેચ્છાઓ આપજાે.
મને તક આપવા બદલ ભારતીય જનતા પાર્ટી અને તેના શીર્ષસ્થ નેતાઓ, મારા વિજયમાં દિવસ રાત મહેનત કરનાર નાના-મોટા સૌ કાર્યકરો – શુભેચ્છકો અને મને વિજેતા બનાવનાર સહુ ભાવનગર વાસીઓનો હું આ તકે આભાર માનું છું. આ જીત તે જીતુ વાઘાણીની નથી, સહુ કાર્યકરોની છે, એક એક મતદારની છે, શાંત સુરક્ષિત સલામત ભાવનગરની છે અને વિકાસની દિશામાં આગળ વધતા ભાવનગરની છે.
દરમિયાનમાં કાર્યાલયેથી ઋણ સ્વીકાર યાત્રા યોજી જીતુભાઈ એ કાળીયાબીડ, કુંભારવાડા સહિત દરેક વિસ્તારમાં જઈ નત મસ્તક થઈ આભાર માન્યો હતો. યાત્રા જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ લોકો સવ્યંભુ જાેડાતા ગયા હતા અને ઠેર ઠેરથી ઉમળકાભેર આવકાર સાથે જીતુભાઈ પર અભિનંદનનો વરસાદ થતો રહ્યો હતો.