પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવનાં નેજા હેઠળ પુડુચેરીનાં કંબન કલાઈ સંગમમાં શ્રી અરવિંદની 150મી જન્મજયંતિની ઉજવણીનાં કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદનાં સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પાડી હતી.
આ સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ શ્રી અરવિંદની 150મી જન્મજયંતિનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેને સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, રાષ્ટ્ર શ્રી અરવિંદને સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, દેશના આ પ્રકારના પ્રયાસોથી ભારતના સંકલ્પોને નવી ઊર્જા અને તાકાત મળશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે એકસાથે અનેક મહાન ઘટનાઓ બને છે, ત્યારે તેની પાછળ ઘણી વખત ‘યોગ-શક્તિ’ એટલે કે સામૂહિક અને એકતાની શક્તિ હોય છે. પ્રધાનમંત્રીએ ઘણી મહાન વિભૂતિઓને યાદ કરી હતી, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં માત્ર યોગદાન જ નથી આપ્યું, પરંતુ દેશના આત્માને નવું જીવન પણ આપ્યું છે. તેમાંથી ત્રણ વ્યક્તિત્વ શ્રી અરવિંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં જીવનમાં એક જ સમયે ઘણી મહાન ઘટનાઓ બની હતી. આ ઘટનાઓએ આ વ્યક્તિત્વોનાં જીવનમાં માત્ર પરિવર્તન જ નથી લાવ્યું, પરંતુ રાષ્ટ્રીય જીવનમાં દૂરગામી પરિવર્તન પણ લાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, શ્રી અરવિંદ એક એવું વ્યક્તિત્વ હતા, જેમનું જીવન આધુનિક વૈજ્ઞાનિક શોધ સ્વભાવ, રાજકીય પ્રતિશોધ અને બ્રહ્મબોધ પણ ધરાવતું હતું. પ્રધાનમંત્રીએ બંગાળનાં વિભાજન દરમિયાન તેમના ‘સમાધાન નહીં’ના નારાને યાદ કર્યા હતા. તેમની વૈચારિક સ્પષ્ટતા, સાંસ્કૃતિક શક્તિ અને દેશભક્તિએ તેમને તે સમયના સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આદર્શ બનાવ્યા. શ્રી મોદીએ શ્રી અરવિંદના ઋષિ-જેવાં પાસાંઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જેઓ ઊંડા દાર્શનિક અને આધ્યાત્મિક મુદ્દાઓને આગળ વધારતા હતા. તેમણે ઉપનિષદોમાં સમાજસેવાનું તત્વ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, આપણે વિકસિત ભારતની આપણી આ સફરમાં કોઈ પણ પ્રકારની લઘુતાગ્રંથિ વિના તમામ વિચારોને અપનાવી રહ્યા છીએ. અમે ‘ઇન્ડિયા ફર્સ્ટ’ના મંત્ર સાથે કામ કરી રહ્યા છીએ અને આપણા વારસાને ગૌરવ સાથે સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી રહ્યા છીએ.
પ્રધાનમંત્રીએ સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ પર ટિપ્પણી કરવાનું ચાલુ રાખતા કહ્યું હતું કે, “ભારત એક એવું અમર બીજ છે, જેને પ્રતિકૂળથી પ્રતિકૂળ સંજોગોમાં થોડુંક દબાવી દેવામાં આવે, થોડુંક સૂકાઈ જાય, પણ તે મરી ન શકે.” પ્રધાનમંત્રીએ સમૃદ્ધ સાંસ્કૃતિક ઇતિહાસ પર ટિપ્પણી કરવાનું ચાલુ રાખ્યું અને કહ્યું, “ભારત માનવ સંસ્કૃતિનો સૌથી વધુ શુદ્ધ વિચાર છે, માનવતાનો સૌથી સ્વાભાવિક સ્વર છે.” ભારતની સાંસ્કૃતિક અમરતા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “મહર્ષિ અરવિંદના સમયમાં પણ ભારત અમર હતું અને આઝાદી કા અમૃત કાળમાં આજે પણ તે અમર છે.” પ્રધાનમંત્રીએ આજની દુનિયા જે ભયંકર પડકારોનો સામનો કરી રહી છે તેની નોંધ લઈને પોતાનાં સંબોધનનું સમાપન કર્યું હતું અને આ પડકારોનો સામનો કરવામાં ભારતની ભૂમિકાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, “એટલે જ આપણે મહર્ષિ અરવિંદમાંથી પ્રેરણા લઈને આપણી જાતને તૈયાર કરવી પડશે અને સબકા પ્રયાસ દ્વારા વિકસિત ભારતનું નિર્માણ કરવું પડશે.”