મહુવાની રેલ્વે સ્ટેશન ચોકડી પાસે એસ.ટી.બસ અડફેટે લેતા મહુવા ખાતે રમકડાં વેચવા આવેલા પરપ્રાંતીય આધેડનું મોતનીપજ્યું હતું.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલ સોજીત રોડ પર રહેતા સુરેશભાઈ રાજુભાઈ બારોટ,તેંના ભાઈ જ્યોતિષ રાજુભાઈ બારોટ અને તેમના કૌટુંબિક કાકા શંકરભાઈ લાલાભાઇ બારોટ છેલ્લા ૧૫ દિવસથી રમકડા વેચવા માટે મહુવા આવ્યા હતા અને મહુવા રેલ્વે સ્ટેશન સામે આવેલ ધામીબાઈની ધર્મશાળામાં રોકાયા હતા.
ગત તા. ૧૫ ના રોજ વહેલી સવારે શંકરભાઈ અને તેનો ભત્રીજાે જ્યોતિષ ચોકમાં ચા પીવા જતા હતા ત્યારે નેસવડ ચોકડી તરફથી પૂર ઝડપે આવી રહેલી રાજુલા બરવાળા રૂટની એસટી બસ નંબર જી.જે. ૧૮ ઝેડ ૪૭૦૮ એ શંકરભાઈને અડફેટે લેતા તેમને પ્રથમ મહુવા ત્યારબાદ ભાવનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું સારવાર દરમિયાન ગઈકાલે સાંજે મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના ભત્રીજા સુરેશભાઈ બારોટે એસ.ટી. બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.