ભાવનગર-સોમનાથના નવા બની રહેલા નેશનલ હાઇવે પર કોબડી નજીક ટોલનાકુ ઉભુ કરાયું છે જેમાં ફાસ્ટટેગવાળા વાહનોને પણ સમય વ્યતિત થતો હોય. ફાસ્ટટેગ લગાવવાનો કોઇ હેતુ સરતો નથી. ઉપરાંત આવક-જાવકમાં બે-બે લાઇન જ શરૂ રખાતી હોવાની રાવ ઉઠી છે. આ મામલે ઉચ્ચસ્તરે રજૂઆત પણ થનાર છે.
ભાવનગર-તળાજા- મહુવા- રાજુલાથી સોમનાથ સુધીના આ હાઇવેનું કામ હજુ બાકી છે તેમ છતાં ઉતાવળે ટોલનાકુ ઉભુ કરી દેવાયું છે. વળી તેમાં ફાસ્ટટેગ કેચઅપ કરવા માટેના લગાવાયેલા કેમેરા અને મશીનરી જુનીપુરાણી હોય તેમ ફાસ્ટટેગ કેચઅપ થતું નથી જેના કારણે વારંવાર વાહનોની લાઇન લાગે છે. કેટલાક કિસ્સામાં તો ૨૦-૨૦ મિનીટ સુધી વાહનધારકોને ખોટી રીતે લાઇનમાં ઉભુ રહેવું પડ્યાના દાખલા છે. કોઇ એક વાહનમાં પ્રોબ્લેમ હોય તો તેને સાઇડમાં લઇ કામગીરી કરવાને બદલે પાછળ રહેલા તમામ વાહનોનો સમય બગડે છે. આવવા-જવા માટે ચાર-ચાર લાઇન નિયમ મુજબ છે પરંતુ તેમાંથી બે-બે લાઇન જ શરૂ રાખવામાં આવે છે. પુરતો સ્ટાફ નહીં રાખી આર્થિક લાભ માટે ટોલનાકાના સંચાલકો વાહન ચાલકોનો સમય વ્યતિત કરે છે. વાહનધારકોએ ટોલનાકા પર ઉભું ન રહેવું પડે તે માટે ફાસ્ટટેગ લગાવેલું હોય છે પરંતુ ફાસ્ટટેગનો કોઇ હેતું રહેતો નથી.
વધુમાં ઉઠેલી ફરિયાદ મુજબ આ મામલે કોઇ અવાજ ઉઠાવે કે ફરિયાદ કરવા જાય તો દાદાગીરી કરી ગેરવર્તન કરવામાં આવે છે ત્યારે જિલ્લા કલેક્ટર અને સબંધિત તંત્રવાહકો નીતિ-નિયમ મુજબ ટોલ સંચાલકોને નિયંત્રણમાં રાખે તેવી પ્રબળ માંગ ઉઠી છે.