લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા કાર્યક્રમ યોજાઈ ગયો. અહી કેળવણીકાર લેખક હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા કહ્યું કે, માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે, જે ઉપનિષદ દ્વારા સમજાય છે.
‘પરિવર્તનશીલ જગતમાં ભારતીય દર્શન’ વિષય પર જાણિતા કેળવણીકાર લેખક હરેશભાઈ ધોળકિયાએ વ્યાખ્યાન આપતા હળવી વાત, સાંપ્રત પ્રવાહો અને તત્વદર્શન કરાવતાં રસાળ શૈલીમાં સમજાવ્યું કે, માણસની કાયમી મથામણ સુખની શોધ માટેની રહી છે, જે પોતાની અંદર જ છે, જે ઉપનિષદ દ્વારા સમજાય છે. બહારના આનંદનો અંત હોય છે, તે મર્યાદિત છે, તેમાં કાયમી સુખ નથી, અંદરના જગતમાં શાશ્વત સુખ આનંદ રહેલ છે. બહાર કરતાં આંતર વિશ્વ વિરાટ છે, એકવાર સમજાય તો શાશ્વત શાંતિ મળી શકે.
પોતાની જાતને ઓળખવા પર ભાર મૂકી આ માટે દુનિયામાં શ્રેષ્ઠ તત્ત્વદર્શન ભારતીય તત્ત્વજ્ઞાન છે. વેદ એ ઋષિઓને મળેલા આનંદની અભિવ્યક્તિ છે. વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણના ટુંક દર્શન સાથે મહાવીર, બુધ્ધ, ગાંધીજી, કૃષ્ણમૂર્તિજી સહિત વિવિધ માનવ પ્રતિભાઓનો ઉલ્લેખ કરી ધર્મ અધ્યાત્મના સંબંધ અંગે છણાવટ કરી. વ્યાખ્યાનના બીજા સત્રમાં હરેશભાઈ ધોળકિયાએ બ્રહ્મ, જગત, તત્ત્વ અંગે ગહન સમજ આપી. આ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ સામે પ્રકાશ પાડ્યો. કાર્યક્રમ પ્રારંભે લોકભારતીના વડા અરુણભાઈ દવેએ માગશર વદ ૧૨ ઉજવણી સંદર્ભે નઈ તાલીમ અને નવી કેળવણી માટે થયેલા કાર્યોનો સંતોષ વ્યક્ત કરી અહી ગાંધી મૂલ્યો સાથે સંવેદનાના સભર ભણાવાતાં પાઠોની વિગતો આપી અહી ‘શ્રમ’ એ ભાર નહિ ‘કેળવણી’ હોવાનું જણાવ્યું.
વ્યાખ્યાન આપતા મુખ્ય મહેમાન હરેશભાઈ ધોળકિયા વિશે ભદ્રાયુભાઈ વછરાજાનીએ પરિચય આપતાં તેમના કેળવણીકાર, વક્તા, વાચક તેમજ સરળ સ્વભાવ ભાવુક તરીકે ઓળખ પરિચય આપેલ. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરાના વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થાના શિક્ષણ કેળવણી અંગેના થયેલા આયોજનો અંગે નિયામક હસમુખભાઈ દેવમુરારી વાર્ષિક નિવેદન રજૂ કરેલ. પ્રથમ બેઠકના સંચાલનમાં વિશાલ ભાદાણી રહ્યા હતા. આ પ્રસંગે આવેલા સંદેશાનું વાચન કાંતિભાઈ ગોઠીએ કર્યું હતું.