વિશ્વભરમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને લક્ષમાં લઈને જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો અને ભાવિકો માટે આગોતરી ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પધારનાર ભક્તો અને ભાવિકો માટે આગોતરી ગાઇડ લાઇન જાહેર કરતાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ કેટલાક સુચનો જણાવ્યા છે, જેનું તારીખ 26-12-2022 સોમવારથી અમલીકરણ કરવામાં આવશે.
મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે, સાથે સાથે મહોત્સવની દર્શન-યાત્રાએ પધારનાર સર્વે દર્શનાર્થીઓને પણ માસ્ક અવશ્ય પહેરવા વિનંતી છે. મહોત્સવ સ્થળ- પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.
મહોત્સવ મહદ અંશે વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ રાખીને મહોત્સવનો લાભ લેવો. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ રાખવો. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ ધરાવનાર વ્યક્તિએ મહોત્સવમાં ન જ આવવું. મોટી ઉમર અને નાજુક સ્વાસ્થ્ય કે કો-મોર્બીડ લક્ષણ (હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે) ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવાનું ટાળવું. હવે પછી વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ અવશ્ય કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી. મહોત્સવમાં ઠેર ઠેર સ્વચ્છ ટોઇલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે, તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની અવશ્ય રાખીએ, વેક્સિનનો કોઈ ડોઝ લેવાનો બાકી હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લઈએ. સરકાર તથા જાહેર સ્વાસ્થ્ય સંસ્થાઓની ગાઈડલાઇન મુજબ જાહેર જનહિત માટે જે તે સમયે જરૂરી પગલાં લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ સુચનોના પાલાન માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દેશમાં કોરોનાના કેસો આવી શકે તેવી સંભાવનાઓ છે. જેથી બીએપીએસ સંસ્થા સમય પહેલા જ સાવચેત થઈ ગઈ છે. અને સાવચેતીના ભાગરૂપે આવશ્યક સુચનો સાથે ગાઈડલાઈન પણ બહાર પાડી છે. પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી મહોત્સવમાં લોકોની સાવચેતી માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.