ભારતમાં કોરોના સામે તમામ સાવચેતી છતા પણ જાન્યુઆરી માસમાં કોરોનાની 40 દિવસની એક લાંબી લહેર આવી શકે છે તેવી નિષ્ણાંતો દ્વારા અપાયેલી ચેતવણી બાદ હવે કેન્દ્ર સરકાર ખાસ કરીને ચીનમાં જે વેરિએન્ટ ફેલાયો છે તેની સામે લડવા અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહે તે દિશામાં આગામી દિવસોમાં મોટા એકશન પ્લાન સાથે આવી રહી છે. ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7એ ચીનમાં હાલ મોટાપાયે ફેલાયો છે અને આંતરિક રીતે લાખો લોકો તેનો ભોગ બન્યા છે અને મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા છે.
જો કે ચીને જે રીતે પ્રારંભથી જ કોરોના અંગે જે માહિતી સેન્સર કરી છે તેના પરિણામે સાચુ ચિત્ર જોવા મળતું નથી. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં વિદેેશથી આવતા પ્રવાસીઓમાં કોરોના પોઝીટીવની સંખ્યા વધવા લાગી છે અને તેના કારણે કેન્દ્ર સરકાર હવે ચીન ઉપરાંત અન્ય છ દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે નિયંત્રણો કડક કરે તેવા સંકેત છે. આજે જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ દિલ્હી વિમાની મથકે ટેસ્ટીંગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને આરોગ્ય તેમજ વિદેશ મંત્રાલય તેમાં સંકલન કરી રહ્યા છે અને જે જે દેશોમાંથી કોરોના કેસ વધતા હોવાના અહેવાલ મળે છે તે દેશોમાંથી આવતી વિમાની સેવાઓ પર પણ વોચ રખાય રહી છે. ભારતે ચીન ઉપરાંત જાપાન, સાઉથ, કોરિયા, બેંગકોક અને સિંગાપુરથી આવનારા યાત્રી માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજીયાત બનાવ્યું છે. જેમાં તેઓએ વિમાની યાત્રાના 72 કલાક પૂર્વેનો નેગેટીવ આરટીપીસીઆર રિપોર્ટ પણ જોડવાનો રહેશે અને તે અપલોડ કર્યા બાદ તેમને ટીકીટ મળશે અને બાદમાં તેઓ ભારતમાં પ્રવેશ કરી શકશે. ખાસ કરીને ચીનથી જે રીતે વિદેશ જવા માટે ધસારો થયો છે તે દેશના પ્રવાસીઓ ભારત આવે તો પણ તેમના માટે પણ ટેસ્ટીંગ ફરજીયાત બનાવી દેવાશે. અમેરિકા સહિતના દેશો પણ આ પ્રકારના નિયંત્રણો લાદવા તૈયારી કરી રહ્યા છે.
આ ઉપરાંત પાડોશી દેશોમાંથી આવતા પ્રવાસીઓના પણ કોરોના ટેસ્ટીંગ થઇ રહ્યા છે. રવિવારે મ્યાનમારથી આવેલા 11 લોકોને એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચાડયા હતા જ્યાં નેગેટીવ રિપોર્ટ આવ્યા બાદ જ જવા દેવાયા હતા. છેલ્લા બે દિવસમાં 6000 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ કરાયો છે જેમાં 39 પોઝીટીવ આવ્યા છે. હાલ રેન્ડમ ટેસ્ટીંગ કરાવામાં આવી રહ્યું છે પરંતુ જરુર પડે તમામનું ટેસ્ટીંગ પણશક્ય બનાવાશે.
કોરોનાનું જીનોમ સીકવન્સ ઝડપી બનાવાશે : દેશમાં 2.79 આઈસોલેશન બેડ તૈયાર
ચીનમાં ફરી એક વખત કોરોનાના સંક્રમણ માટે જવાબદાર ઓમિક્રોનના સબવેરિએન્ટ બીએફ.7ને ઇન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ દ્વારા આઈસોલેટ કરાયો છે અને તેના કારણે હવે જીનોમ સીકવન્સ પણ ઝડપથી બનશે. દેશમાં જીનોમ સીકવન્સની પ્રક્રિયા મર્યાદિત લેબોરેટરીમાં થાય છે અને તેના કારણે એક વખત નવો વેરિએન્ટ આવ્યે પછી બે-ત્રણ મહિને જાણ થાય અને ત્યાં સુધીમાં આ વેરિએન્ટથી કોરોના ફેલાય ગયો હોય તેને અટકાવવા માટે હવે ખાસ તૈયારી કરવામાંઆવી છે અને દરેક કોરોના દર્દીનું સેમ્પલનું જીનોમ સીકવન્સ શક્ય એટલું ઝડપી બને તેવી તૈયારી છે.
આ ઉપરાંત દેશમાં હાલ 2.79 લાખ આઈસોલેશન બેડ, 2.45 લાખ ઓક્સિજન સપોર્ટ બેડ, 64,711 આઈસીયુ બેડ, 49236 વેન્ટીલેટર સાથેની આઈસીયુ બેડ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત 11,830 મેડીકલ પ્લાન્ટ પણ ધમધમે છે. જે સતત ઓક્સિજન પેદા કરશે