નવસારીના વેસમા ગામ નજીક ખાનગી બસ અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં કારમાં સવાર 8 લોકો તથા બસમાં સવાર એક વ્યક્તિ એમ કુલ 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. આ સાથે 30 લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેમાંથી 11 ગંભીર રીતે ઘવાયેલાં લોકોને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. તો સામાન્ય ઈજા પામનાર લોકોને વલસાડ ખસેડવામાં આવ્યા છે. આ બસ અમદાવાદથી મુંબઈ જઇ રહી હતી.
અકસ્માતની આ ઘટનામાં અકસ્માત બાદ બસના ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જેથી ડ્રાઇવરની હોસ્પિટલમાં સારવાર શરૂ છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ખાનગી બસ અમદાવાદથી શતાબ્દી મહોત્સવ જોઇને વલસાડ પરત આવી રહી હતી. જ્યારે ફોર્ચ્યુનર કાર વલસાડ થઇને ભરૂચ જઇ રહી હતી. ત્યારે એકાએક આ કાર ડિવાઇડર કૂદાવીને રોંગ સાઇડ જતી રહી હતી. જ્યાં તે કાર અચાનક બસ સાથે ધડાકાભેર અથડાઇ. અને બાદ કારમાં સવાર તમામે તમામના ઘટનાસ્થળે મોત નિપજ્યાં છે. આ તમામ લોકો ભરૂચની ફાર્મા કંપનીમાં કામ કરતા હતા. જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો વલસાડનાં છે.