ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં હિન્દુ વસાહતોમાં વિધર્મીઓ ઉંચા ભાવે મિલ્કતો ખરીદી રહ્યા છે આ સામે બહુમત હિન્દુ સમાજમાં રોષ છે અને પાંચ દિવસ પૂર્વે વિરાટ રેલી યોજીને આક્રોશ પણ પ્રગટ કર્યો હતો પરંતુ હિન્દુ સમાજના જ કેટલાક આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો પોતાના આર્થિક ઉપાર્જન માટે મેળાપીપણુ કરીને આવી મિલ્કતોના સોદા કરતા હોવાની ચર્ચાઓ પણ છે. શહેરના ઘોઘાસર્કલમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક તબીબના બંગલાને એક હિન્દુ બિલ્ડરે ખરીદ્યો હોવાનું અને આ સ્થળે વિધર્મી બિલ્ડર દ્વારા ફ્લેટની સ્કીમ હાથ ધરાઇ હોવાની ચર્ચા છે. સ્થાનિક રહિશોએ આ મામલે ઉહાપોહ મચાવી અને વિરોધ કર્યો છે.
સુત્રોથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ઘોઘાસર્કલમાં એક તબીબના માલિકીનો બંગલો જે કોઇ મોહનભાઇ નામના બિલ્ડરે ખરીદી કરી અને વિધર્મી બિલ્ડરને વેચી એ જગ્યાએ હવે લઘુમતી સમાજ માટે ફ્લેટની સ્કીમ આકાર લેવા જઇ રહી છે. ગઇકાલે ઘોઘાસર્કલના રહિશો એકત્ર થયા હતા અને મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે, નામાંકિત તબીબે આ બંગલો હિન્દુ બિલ્ડરને વેચ્યો છે અને હવે વિધર્મી બિલ્ડર દ્વારા આ મિલ્કત ખરીદીને ત્યાં ફ્લેટની સ્કીમ માટે પ્રક્રિયા ચાલી રહી છે. રહિશોએ નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ફ્લેટની સ્કીમ વિધર્મીઓ માટે મુકાશે તેવો અમને ભય છે ત્યારે શહેરમાં અશાંતધારો સત્વરે લાગુ કરવા અમે પુનઃ માંગ ઉચ્ચારી રહ્યા છીએ. રહિશોએ મીડિયા સમક્ષ નિવેદનમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે, હિન્દુ અને વિધર્મી બિલ્ડર ભેગા મળીને આ રીતે બહુમત હિન્દુ વિસ્તારની મિલ્કતોના સોદા કરી રહ્યા છે. સ્થાનિક રહિશોએ આ વિસ્તારમાં બેનર લગાવી જાહેર ચેતવણી ઉચ્ચારી આ વિસ્તાર, એરિયા, શેરી, ખાંચા કે ડેલીમાં આવેલ કોઇપણ મકાન કે મિલ્કત વિધર્મીઓને વેચાણથી કે ભાડેથી આપવામાં આવતી નથી તો આ અંગે સંવેદનશીલ બાબતે પુછપરછ કે તપાસ કરવી નહીં તેમ પણ જણાવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ તથા હિન્દુ હિતરક્ષા સમિતિ ઘોઘાસર્કલ, મેઘાણી સર્કલ, આંબાવાડી વિસ્તારના રહિશોના જય માતાજી… તેમ આ બેનરમાં ઉલ્લેખ કરાયો છે. આમ ભાવનગરમાં વધુ એક વિસ્તારમાં વિધર્મીની મિલ્કત ખરીદવાની હિલચાલથી ઉહાપોહ મચ્યો છે ત્યારે સબંધિત તંત્ર વાહકો આ બાબતે સત્વરે તપાસ કરી બન્ને કોમ વચ્ચે સુલેહશાંતિ જળવાઇ રહે તે દિશામાં પગલા ભરે તે જરૂરી છે.