નદી ઉપર બનેલાં બ્રિજનો રસ્તો બનાવનાર સબ કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગવા મામલે સુરત એસીબીએ છટકુ ગોઠવી લાંચીયા અધિકારીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં વલસાડના કાર્યપાલક ઇજનેર નિલય નાયક 15 લાખની લાંચ લેતા ઝડપાયા હતા. જ્યારે ઇજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વલસાડમાં નદી ઉપર બનેલાં બ્રિજનો રસ્તો બનાવનાર સબ કોન્ટ્રાક્ટ પાસે બે કરોડનું બિલ પાસ કરવા માટે ૧૫ લાખની લાંચ લેતા વલસાડ માર્ગ અને મકાન વિભાગના નાયબ કારયપાલક ઇજનેર એ.સી.બી.ના છટકામાં ઝડપાતા ચકચાર મચી હતી. તેમનાં વતી લાંચ લેવા આવેલા વચેટીયાને પણ ઝડપી લેવાયો હતો. લાંચકાંડમાં બીજા ભાગીદાર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરીની પણ સામેલગીરી બહાર આવતાં પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યાં હતા. દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટી લાંચ લેવાનો કિસ્સો મનાઇ રહ્યો છે. સુરત એ.સી.બી. ની ટીમે સોમવારે સવારથી જ આ લાંચિયાઓને પકડવા છટકું ગોઠવ્યું હતું.
વલસાડમાં નદી ઉપર 2019માં કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા બ્રિજના રસ્તાનું કામ આ સબ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું હતું. આશરે બે કરોડનું બિલ બન્યું હતું, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર નિલય ભરત નાયક (પંચાયત અને માર્ગ મકાન વિભાગ )અને આસિસટન્ટ ઇજનેર અનિરૂદ્ધ માધુસિંહ ચૌધરી તે મંજૂર કરી રહ્યા ન હતા. બિલ મંજૂર કરવા 15 લાખની માંગણી ઉપર અટકી રહ્યા હતા.