ગુજરાતમાં સિંહોની સામે દિપડાઓની વસતિ પણ વધતી જાય છે અને આ દિપડાઓ અવારનવાર માનવવસતિમાં પણ ઘૂસી જાય છે તથા માનવ પર હુમલા પણ કરે છે. સિંહો માટે અભ્યારણ છે પણ દિપડાઓ આ જંગલો અને તેના આસપાસના વિસ્તારમાં મુક્ત રીતે વિચરતા હોય છે અને દિપડો તે લુચ્ચું પ્રાણી છે તે કુતરા-મરઘાનો પણ શિકાર કરે છે તથા માતાની પાસે સૂતેલા નાના બાળકને જે ચપળતાથી ઉઠાવી જાય છે. તેની ભાગ્યે જ ખબર રહે છે.
છેલ્લા 10 વર્ષમાં દિપડાઓની માનવ વસતિમાં ઘૂસણખોરી વધી ગઈ છે અને પછી તેને ઝડપવા પાંજરા મુકવા પડે છે પણ અનેક દિપડાઓ રીઢા ગુન્હેગાર જેવા થઈ ગયા છે અથવા તેઓને માનવ વસતિમાં લટાર મારવાનું પસંદ પડી ગયુ છે. જંગલ વિભાગના આંકડા મુજબ છેલ્લા 10 વર્ષમાં 263 દિપડા એવા છે જેને એકથી વધુ વખત માનવ વસતિમાંથી ઝડપી લેવાયા છે.
આ 263 દિપડાઓ જ 834 વખત માનવ વસતિમાંથી ઝડપાયા છે તેઓને જંગલ વિસ્તારમાં મુકી આપવામાં આવે છે અને ફરી તેઓ માનવ વસતિ ભણી જાય છે. જે દિપડાઓ માનવ પર હુમલો કરે છે અને નાના બાળકોને શિકાર બનાવે છે. તેઓને જૂનાગઢના સકકરબાગ કે પછી દેવાળીયામાં સુરક્ષિત વિસ્તારમાં જ રખાય છે અને બહાર આવવા દેવામાં આવતા નથી.
અનેક દિપડાઓ તો એવા છે જે 5-6 વખત આ રીતે માનવવસતિમાંથી ઝડપાયા છે. હાલમાં જ આ અંગે એક ખાસ શોધ પેપર્સ બહાર પાડવામાં આવ્યું હતું જે હ્યુમન એન્ડ વ્યક્ત થયા છે જેમાં અલીગઢ મુસ્લીમ યુનિ.ના નાઝમીન ઝેહરા અને જમાલબીન ઉપરાંત નવસારી એગ્રીકલ્ચરલ યુનિ.ના રોહિત ચૌધરી અને રાજયના જંગલ વિભાગના કન્ઝયોર સંદીપકુમારે સંયુક્ત રીતે તૈયાર કર્યા હતા જેમાં 1192 દિપડાઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને તેમાં 263 દિપડાઓ વારંવાર માનવ વસતિમાં ઘુસતા હતા અને તેઓને 834 વખત ઝડપી લેવાયા હતા. એક દિપડો તો સાત વખત ઝડપાયો હતો.
એક માદા દિપડાને તો 2002માં તળાવ પાસે ખુલ્લા કુવામાં ખાબકયા બાદ તેનો બચાવ કરાયો અને રેડિયો કોલર લગાવાયો હતો પણ તેને ત્રણ દિવસ પછી મુકત કરવામાં આવી તો સીધી વાડીઓજ નજરે ચડી હતી. તે વારંવાર આ વિસ્તારમાં જતી હતી. નાના શિકાર કરતી હતી પણ કદી માનવ પર હુમલો કર્યો નહી. ખાસ કરીને શિયાળામાં દિપડાઓ માનવ વસાહત કે વાડી-ખેતરમાં વધુ જોવા મળે છે. ખેતરો અને વાડીઓ પાકથી ઉભરાતા હોય છે અને નાના પ્રાણીઓ પણ વિહરતા હોય છે અને તે સ્થિતિ તેને સાનુકુળ લાગે છે.