ઇઝરાયલના જેરુસલેમમાં એક સિનેગોગમાં થયેલા આતંકી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, આ ગોળીબાર એક આતંકવાદી હુમલો છે. પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠે ઇઝરાયલી સૈનિકો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 9 લોકો માર્યા ગયાના એક દિવસ બાદ આ હુમલો થયો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ હુમલો શુક્રવારે રાત્રે લગભગ 8.15 વાગ્યે જેરુસલેમના નેવા યાકોવ સ્ટ્રીટ પર આવેલા એક સિનેગોગમાં થયો હતો.
ઇઝરાયલના વિદેશ મંત્રાલયના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જેરુસલેમના સિનેગોગ પરિસરમાં થયેલા આતંકવાદી હુમલામાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે પહોંચીને તબીબોની ટીમે ઈજાગ્રસ્તોની સારવાર કરી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત હુમલાખોરને પણ બાદમાં ઠાર મારવામાં આવ્યો છે. ગુરુવારે જેનિન શહેરમાં ઇઝરાયલી સુરક્ષા દળોએ એક શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. જેમાં એક વૃદ્ધ મહિલા સહિત 9 લોકોના મોત થયા હતા.
નોંધનીય છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં 29 પેલેસ્ટાઈનના લોકોના મોત ઇઝલાયલી સુરક્ષા દળોના હુમલામાં થઈ ચૂક્યા છે. આ સાથે જ ગાઝાથી થઈ રહેલા રોકેટ હુમલાના જવાબમાં ઇઝરાયલે મધ્ય ગાઝા પટ્ટીમાં મોટા પાયે હવાઈ હુમલા પણ કર્યા છે. ઇઝરાયલે શુક્રવારે કહ્યું હતું કે, તેની સેનાના દરોડાઓએ આતંકવાદી સંગઠન હમાસની શસ્ત્રો ઉત્પાદન ક્ષમતાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળે જણાવ્યું હતું કે, તેમના હુમલાનું લક્ષ્ય મધ્ય ગાઝામાં મગાઝી રિફ્યૂઝી કેમ્પમાં રોકેટ બનાવવાની એક ફેક્ટરી હતી.