ભારતીય રિઝર્વ બેંકના નાણાકીય નીતિના નિર્ણયોની જાહેરાતમાં, RBI ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટને લઈને મોટી જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની છેલ્લી ક્રેડિટ પોલિસીના નિર્ણય વિશે આજે જાહેરાત થઈ ગઈ છે, જણાવી દઈએ કે આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે સવારે 10 વાગ્યાથી એમપીસીની બેઠકના નિર્ણયો વિશે જાણકારી આપવાની શરૂઆત કરી હતી જેમાં એમને રેપો રેટને લઈને પણ ઘોષણા કરી દીધી છે.
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલા ઉતાર-ચઢાવ અને ફુગાવાના આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને પણ અસર કરી રહ્યા છે. એક તરફ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે પરંતુ વૈશ્વિક પડકારો આપણી સામે છે અને તે મુજબ નિર્ણયો લેવા પડશે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેરાત કરી છે કે MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. આ પછી દેશમાં રેપો રેટ વધીને 6.50 ટકા થઈ ગયો છે, જે પહેલા 6.25 ટકા હતો. MPCના 6માંથી 4 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું હતું.