તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદ મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશોમાં અત્યાર સુધીમાં કુલ 24 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. બચાવ કામગીરી હજુ ચાલુ છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. હાડ થીજવતી ઠંડી વચ્ચે તુર્કીયે અને સીરિયામાં ભૂકંપ પીડિતોને રેસ્ક્યૂ કરવાનું કામ ચાલુ છે. પરંતુ જેમ-જેમ ઈમારતોનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, તેમ તેમ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ એક દિવસ પહેલા સુધી મૃતકોનો આંકડો જે 22 હજાર પર હતો, તે હવે વધીને 24 હજારને પાર કરી ગયો છે. અહીં રેસ્ક્યૂ કામગીરી હજુ યથાવત છે.
રેસ્ક્યૂ ઓપરેશનને આગળ વધારતાની સાથે-સાથે મૃતઆંક પણ સતત વધી રહ્યો છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભૂકંપના કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. હાલ ભૂકંપથી પ્રભાવિત વિસ્તારોમાં હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે. હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.
તુર્કી અને સીરિયાની મદદ માટે ઘણા દેશો આગળ આવ્યા છે. ભારતે મેડિકલ ટીમની સાથે NDRFની ટીમો પણ તુર્કીયે મોકલી છે, જ્યારે અન્ય દેશોએ મદદ મોકલી છે. વિશ્વ બેંકે તુર્કીયેને 1.78 અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. તો અમેરિકાએ તુર્કીયે અને સીરિયાની મદદ માટે 85 મિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે.