રાજ્યમાં કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટી, વાવાઝોડું આવે ત્યારે ઘર, ઘરવખરી, પાક અને જાન- માલને નુકશાન થાય છે. આ સંજોગોમાં અસરગ્રસ્તોને મળતી સહાયમાં બમણો વધારો કરાશે.
કુદરતી આફતોમાં થતાં મૃત્યુમાં મળતી સહાય સિવાયની રાહતોમાં 100 ટકાનો વધારો કરાશે. આમ સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતીઓને સૌથી મોટી રાહત થવાની સંભાવના છે. રાજ્યના ખેડૂતોને સૌથી વધારે નુક્સાન એ વરસાદ અને અતિવૃષ્ટિથી થાય છે. જેમાં હવે સહાયમાં વધારો કરવાના નિર્ણયને પગલે ખેડૂતોને સૌથી મોટી રાહત થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયાકિનારાનો વિસ્તાર છે અને અનેકવાર વાવાઝોડા ફૂંકાતા હોય છે. દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ગુજરાત પાસે છે, ત્યારે આ ખતરો સતત મંડરાતો રહે છે. તાજેતરમાં આવેલા ગુજરાતમાં તોકતેએ સૌથી વધારે નુક્સાન પહોંચાડ્યું હતું. તો આ પહેલા પણ અનેક વાવાઝોડા ગુજરાતને ધમરોળી ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાયમાલ થઈ ગયા હતા. હવે રાહતમાં વધારો કરવાના નિર્ણયને પગલે નુક્સાનીનો ભોગ બનેલા લોકો માટે આ રાહતના સમાચાર છે. જોકે, કેટલી સહાય ચૂકવાશે એ મામલે હજુ નિર્ણયો લેવાયા નથી પણ આ મામલે નવા ધારા ધોરણો ટૂંક જ સમયમાં જાહેર થશે.