ભાવનગર મહાપાલિકા દ્વારા વર્ષો પૂર્વે કેબીનો રાખવા દઇ તેનું ભાડુ વસુલવાની પ્રથા અમલમાં હતી જે વર્ષ ૨૦૦૧થી તત્કાલીન કમિશનર મુકેશકુમારના કાર્યકાળમાં આ પ્રથા રદ્દ કરવામાં આવી છે. પરંતુ શહેરના રેલ્વે સ્ટેશન પાસે આ યોજના તળે ૪ કેબીનો મુકાયેલી બાદમાં ત્યાં દુકાન જેવું બાંધકામ પણ કરી દેવાયેલ જે બાંધકામ રેલ્વે સ્ટેશનની શોભા બગાડવા સાથે ટ્રાફિકને અડચણરૂપ પણ હતું. આ સામે આખરે આજે મ્યુ. એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી બુલડોઝર ફેરવી ચારેય બાંધકામ તોડી પાડ્યા હતાં.
તત્કાલીન સમયે કેબીનો મુકવા જેને મંજૂરી અપાઇ હતી તે આસામીઓ હાલ હયાત નથી પરંતુ પેટા ભાડુઆત તરીકે બીજાને ભાડે ચડાવી કમાણી થઇ રહી હતી ઉપરાંત કેબીનની જગ્યાએ દુકાનો ચણી લેવાઇ હતી. કોર્પોરેશને પણ ૨૦૦૧થી ભાડુ વસૂલવાનું બંધ કરતા મંજૂરી વગરનું આ ગેરકાયદે દબાણ જ હતું જેની સામે કાર્યવાહી કરવામાં કોર્પોરેશનને ૨૦ વર્ષ વિતી ગયા હતાં. આખરે વર્તમાન કમિશનર ઉપાધ્યાયએ સબંધિત અધિકારીઓના કાન આંબળ્યા હોય તેમ નૈતિકતા જાગી હતી અને દબાણો દુર થયા હતાં. એસ્ટેટ વિભાગ દ્વારા આજે રેલ્વે સ્ટેશન ઉપરાંત અલકા ટોકીઝ સુધીના દબાણો તેમજ મોતીતળાવ વિસ્તારમાં પણ કેટલાક દબાણો હટાવાયા હોવાનું જાણવા મળ્યું છે.
સિંધુનગર મોક્ષધામ વિસ્તારમાં સફાઇનો અભાવ કમિશનરના ધ્યાને ચડ્યો
રવિવારે રજાના દિવસે મ્યુ. કમિશનરે સિંધુનગર વિસ્તારમાં મુલાકાત લેતા મોક્ષધામની આજુબાજુમાં ગંદકી ધ્યાને આવી હતી આથી મંગળવારે આ વિસ્તારમાં સંકલિત સફાઇ કરવા સુચના આપી હતી આથી હવે કાલે કોર્પોરેશનના દરેક વિભાગો સાથે મળીને તેની ભાગે આવતી કામગીરી કરશે.
એસબીઆઇની ઇસ્કોન બ્રાંચનો મિલ્કત વેરો ભરવા રિઝનલ મેનેજરની લેખિત બાહેધરી
ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ ઇÂન્ડયાની ઇસ્કોન બ્રાંચનો રૂ.૨૨.૫૦ લાખનો મિલ્કત વેરો વસુલવા કોર્પોરેશને બુધવારે સીલ ઠપકાર્યાં હતાં આથી રિઝનલ મેનેજર સ્તરેથી કોર્પોરેશન સાથે પરામર્શ કરી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં વેરો ભરપાઇ કરી આપવા લેખિતમાં બાહેધરી અપાઇ હતી તેમજ એક લાખ રૂપિયાની રકમ તાત્કાલીક જમા કરાવાતા બેંકના સીલ ખોલી અપાયા હતાં.