અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડનો આજથી પ્રારંભ થયો છે. આ માર્કેટ યાર્ડ 365 દિવસ કાર્યરત રહેશે. મહત્વનું છે કે, ભાજપના ધારાસભ્ય બાબુભાઇ પટેલ અને સહકાર સેલના ચેરમેન બિપિનભાઈ પટેલે ખાનગી માર્કેટ યાર્ડ બનાવ્યું છે.
આ અંગે માહિતી આપતા ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલે જણાવ્યું કે, ખેડૂતો અને વેપારીઓ માટે આધુનિક માર્કેટિંગ યાર્ડ બનાવવામાં આવ્યું છે. ચેરમેન બિપિનભાઈ પટેલે જણાવ્યું કે, ખાનગી એપીએમસીમાં વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રચર છે. જ્યારે જૂની એપીએમસીમાં રસ્તા નાના હોય, શહેરની અંદર હોય તેથી ટ્રેક્ટરો, ગાડીઓ આવવા જવાની તકલીફ પડતી હોય, સ્થાનિકોને પણ તકલીફ પડતી હોય છે. ત્યારે આ એપીએમસી રિંગ રોડ પર બનાવવામાં આવી છે. ઉપરાંત બરોડા એક્સપ્રેસ અહીંથી 4 કિમી દૂર છે.
તેમણે જણાવ્યું કે, અહીં બેંક, એટીએમની પણ સુવિધાઓ છે. સાથે ખેડૂતો માટે જમવાની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે. ખેડૂતોને તેમના પાકના સારા પૈસા મળે એ માટેની પણ અહીં ધ્યાન રાખવામાં આવશે.
કર્ણાવતી એગ્રીકલ્ચર માર્કેટ યાર્ડ એ 10 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલું ભારતનું સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ છે. કર્ણાવતી એગ્રિકલ્ચર માર્કેટ યાર્ડ આખું CCTV કેમેરાથી સજ્જ છે. જેમાં આરસીસી રોડ, વે બ્રિજ, પાર્કિંગની વ્યવસ્થા, બેંક, એટીએમ, સિક્યુરિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત આ માર્કેટ યાર્ડમાં ખેડૂતો માટે સસ્તામાં રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.