સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા-યુક્રેન યુદ્ધની ચર્ચા કરવા માટે ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું. તમામ દેશમાં યુક્રેનમાં શાંતિ કેવી રીતે જાળવી શકાય તેને લઈને મંથન કરી રહ્યા હતા જેમાં ભારત પોતાના પક્ષ ઉપર યથાવત રહ્યું હતું. જો કે તેણે મતદાનથી ખુદને અલગ રાખ્યું હતું. બીજી બાજુ પાકિસ્તાન પહેલાંની જેમ જ આ બેઠકમાં પણ કાશ્મીર રાગ ગાવાનું ચૂક્યું નહોતું. જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કરતાની સાથે જ ભારતે પાકિસ્તાનનેઝાટક્યું હતું.
ભારતે પાકિસ્તાનની આ ઉશ્કેરણીને અફસોસજનક અને ખોટી જગ્યાએ કરાયેલી વાત તરીકે ગણાવ્યું હતું. આ ઉપરાંત આતંકીઓને આશરો પૂરો પાડવાના પાકિસ્તાનના પાછલા રેકોર્ડનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં કાઉન્સેલર પ્રતીક માથુરે કહ્યું કેહું આજે આ મંચ પર કહેવા માંગું છું કે ભારત આ વખતે પાકિસ્તાનની દુષ્ટ ઉશ્કેરણીનો જવાબ નહીં આપવાનો વિકલ્પ પસંદ કરે છે. અમારી પાકિસ્તાનના પ્રતિનિધિને સલાહ છે કે ઉત્તરના અધિકાર હેઠળ અમારા દ્વારા અતીતમાં અપાયેલા જવાબોને જૂએ. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના દૂત મુનીર અકરમે ઈમરજન્સી વિશેષ સત્ર દરમિયાન યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં મતદાન દરમિયાન પોતાની વાત કરતા જમ્મુ-કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો જે પછી માથુરે ઉત્તર આપવાના અધિકારનો ઉપયોગ કર્યો હતો.
માથુરે કહ્યું કે પાકિસ્તાને પહેલાં પોતાની અંદર ધ્યાન આપવું જોઈએ જેનો આતંકીઓને આશરો આપવાનો જૂનો રેકોર્ડ રહ્યો છે અને તે કોઈની પણ બીક રાખ્યા વગર આવું કરી રહ્યો છે. બે દિવસની ગહન વાર્તા બાદ અમે તમામ એ વાત પર સહમત થયા છીએ કે શાંતિના માર્ગપર ચાલીને જ સંઘર્ષની સ્થિતિ સામે લડી શકાય છે. આવામાં આ સમયે જમ્મુ-કાશ્મીરની વાત કરવી વ્યાજબી નથી.