1382 જગ્યાની ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના આક્ષેપ
પોલીસ ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ફરી એકવાર ગંભીર આક્ષેપો કર્યા છે. વિગતો મુજબ માર્ચ 2021ની પીએસઆઈ ભરતીમાં કૌભાંડ આક્ષેપ થયા છે. નોંધનીય છે કે, આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના સનસનીખેજ આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ગુજરાતમાં PSI ભરતીને લઈ યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ PSI-ASI ભરતીમાં સિસ્ટમેટિક સ્કેમ થયું હોવાનું આક્ષેપ કર્યો છે. તેમને કહ્યું કે, એક વ્યક્તિ કે જેનો PSI-ASI ભરતીના રિઝલ્ટમાં કે મુખ્ય પરીક્ષામાં કોઈ ઉલ્લેખ નથી તે હાલ કરાઇ પોલીસ એકેડેમી ખાતે ટ્રેનીગ લઈ રહ્યા છે. આ કઈ રીતે થઈ શકે? આની પાછળ અંદરના જ કોઈ અધિકારીની મિલીભગત હોય તો જ આવું થઈ શકે તેવા ગંભીર આક્ષેપ કર્યા છે.
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગ્યા હોવાના આક્ષેપ યુવરાજસિંહે કર્યો છે. તેમને કહ્યું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે ?
યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે, બરોડા ખાતેથી નિમણૂક પત્ર મળ્યા ત્યારે તેમાં નામ નથી. તેમને લેટર DGP ઓફિસમાંથી મળ્યો છે. અમે આ અંગે રિઝલ્ટ ડાઉનલોડ કર્યા છે. આ સાથે કહ્યું કે, વિશાલ ભાઈ પાસ થયા તેમના નામનો ઉલ્લેખ અલગ છે. યુવરાજસિંહે કહ્યું કે, ભરતીમાં લાગવગશાહી અને બનાવટી દસ્તાવેજો ઊભા કરી સીધી ભરતીમાં સિસ્ટમેટિક સ્કેમ કરી નોકરી મેળવી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ સાથે સવાલ ઊભા કર્યા કે, શું ટ્રેનિંગ સેન્ટરમાં કોઈ ક્રોસ વેરીફાઈ કરવામાં આવતું નથી ? આ કોઈ સહજ ભૂલ નથી. મોટા અધિકારીઓની મીથી રહેમનજર હેઠળ થયેલ સિસ્ટમેટિક કૌભાંડ છે. આ સાથે તેમણે કહ્યું કે, આ કોઈ લાપરવાહી કે ડોક્યુમેન્ટ ટેમ્પરિંગનો મુદ્દો જ નથી. આ ફ્રોડ ઉચ્ચ અધિકારીના સાથ સહકાર વગર શક્ય નથી. તેમને આક્ષેપ કર્યો કે, પોલીસ ભરતી બોર્ડના અંદરના કે કોઈ જાણભેદુ જ આ ફ્રોડમાં મદદ કરેલ છે.
2014 પછીની તમામ ભરતીની તપાસ કરવામાં આવે: યુવરાજસિંહ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે 2014 પછીની તમામ ભરતીમાં આ પ્રકારની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, આ ફક્ત એક ઉમેદવાર પૂરતો મુદ્દો નથી. આ એક દાખલારૂપ માહિતી છે. આ પ્રકારે અન્ય ભરતીમાં પણ બહુ મોટાપાયે કૌભાંડ થયેલ હોય શકે છે. જેની તટસ્થતા સાથે સચોટ તપાસ થવી ખૂબ જરૂરી છે.