પૂર્વોતર રાજયો મેઘાલય, ત્રિપુરા તથા નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને ત્રણમાંથી બે રાજયોમાં ભાજપ મોરચાને સ્પષ્ટ બહુમતીના સંકેત છે જયારે મેઘાલયમાં રસાકસી છે. મહત્વની વાત એ છે કે ત્રિપુરામાં ભાજપને પછડાટ સામે તૃણમુલ કોંગ્રેસે જોર બતાવ્યું છે. નાગાલેન્ડ, ત્રિપુરા તથા મેઘાલયમાં ગત મહિને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી તેની મતગણતરી આજે સવારથી શરૂ થઈ હતી. એકઝીટ પોલમાં ત્રિપુરા તથા નાગાલેન્ડમાં ભાજપ મોરચાની સરકાર રચાવાના તથા મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભા રચાવાના તારણો નીકળ્યા હતા. પ્રારંભીક ટ્રેન્ડમાં ત્રિપુરા તથા નાગાલેન્ડમાં ભાજપ મોરચો (એનડીએ)ને બહુમતી મળવાના સંકેત ઉપસ્યા હતા જયારે મેઘાલયમાં કોઈ એક પક્ષને બહુમતી ન મળવાના સંકેત ઉપસ્યા હતા.
ત્રિપુરામાં ભાજપને પ્રારંભીક ટ્રેન્ડમાં બહુમતી મળ્યા બાદ પછડાવા લાગ્યો હતો. ગત ટર્મમાં ડાબેરીને પછડાટ આપીને ભાજપે સતા હાંસલ કરી હતી. આ વખતે કોંગ્રેસ તથા ડાબેરીઓએ હાથ મિલાવીને લડાઈ લડી હતી તેવી જ રીતે ટીએમસીએ પણ ઝુકાવ્યુ હતું. સવારે 10 વાગ્યાના ટ્રેન્ડ પ્રમાણે 60 બેઠકોની વિધાનસભામાં 28 બેઠકોમાં ભાજપના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા. ગત ટર્મની ગણતરી કરવામાં આવે તો 16 બેઠકોનું નુકશાન હતું તેની સામે ડાબેરી ઉમેદવારોની 17 બેઠકો પર સરસાઈ હતી. તૃણમુલ કોંગ્રેસે જોર દેખાડયુ હોય તેમ 13 બેઠકો પર પાર્ટીના ઉમેદવારોને સરસાઈ હતી. બહુમતી માટે જરૂરી 31 બેઠકો ભાજપ મેળવી શકે છે કે કેમ તેના પર હવે મીટ મંડાય રહી છે. નાગાલેન્ડમાં તો જો કે ભાજપ મોરચાને સ્પષ્ટ બહુમતી મળી ગયાના સંકેત છે. 60 બેઠકોની વિધાનસભામાં એનડીપીપીના 37 ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા અને ગત ટર્મ કરતા પણ વધુ સાત બેઠકોમાં સરસાઈ હતી. એનપીએફને મોટો ઝટકો હોય તેમ માત્ર 4 સીટોમાં સરસાઈ હતી. ગત ટર્મમાં પાર્ટીએ 26 બેઠકો મેળવી હતી. કોંગ્રેસે ખાતુ ખોલ્યુ હોય તેમ એક બેઠકમાં આગળ હતા.
નાગાલેન્ડમાં એનડીપીપીને 40 બેઠકો પર સરસાઈ સાથે સ્પષ્ટ બહુમતી: એનપીએફને મોટો ઝટકો
અન્ય નાના પક્ષે અપક્ષોનું જોર હોય તેમ 18 બેઠકોમાં આગળ હતા. મેઘાલય વિધાનસભાના ટ્રેન્ડમાં કાંટેકી ટકકરનું ચિત્ર હતું. કોંગ્રેસને મોટી પછડાટ હોય તેમ માત્ર પાંચ બેઠકમાં ઉમેદવારોની સરસાઈ હતી. ગત ટર્મમાં કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી. સૌથી મોટા પક્ષ એનપીપીની 23 બેઠકોમાં સરસાઈ હતી. ભાજપ મજબૂત થયો હોય તેમ સાત બેઠકો પર તેના ઉમેદવારો સરસાઈ ધરાવતા હતા. ગત ટર્મમાં ભાજપની માત્ર બે બેઠક હતી. ટીએમસીએ 7 બેઠકો પર સરસાઈ મેળવી હતી. અપક્ષો-અન્યોની 19 બેઠકો પર સરસાઈ હતી. પુર્વોતર રાજયોના ભાજપના રણનીતિકાર તથા આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ ત્રણેય રાજયોમાં ભાજપની જીતનો દાવો કર્યો હતો. ત્રણેય રાજયોમાં એનડીએને બહુમતી મળવાનું જણાવ્યું હતું. પરંતુ ત્રણમાંથી માત્ર એક કે બે માં જ ભાજપ સરકાર બનાવી શકે તેવી સ્થિતિ પ્રારંભીક ટ્રેન્ડમાં ઉપસી છે.