ભાવનગરના હાર્દ સમા શહિદ ભગતસિંહ ચોક- ઘોઘાગેઇટમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગ બિઝનેસ સેન્ટરની અગાશી પર કોર્પોરેશનની પૂર્વ મંજુરી વગર મોટા મોટા હોર્ડિંગ્ઝની સાઇટો ઉભી કરી દેવાઇ છે જે મોતનો માચડો બને તેવા એંધાણ છે. ચોમાસુ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં આવા હોર્ડિંગ્ઝ ઉતારી લેવા કોર્પોરેશન કાર્યવાહી કરતું હોય છે ત્યારે અહીં તો કોર્પોરેશનની પૂર્વ મંજુરી વગર જ મોટા હોર્ડિંગ્ઝ માટે સાઇટ ઉભી કરી દેવાઇ છે. કેટલાક તત્વો જાણે તંત્રને ખીસ્સામાં લઇને ફરતા હોય તે રીતે કાર્ય કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગરમાં સૌથી વધુ સભા, સરઘસ, પ્રદર્શન કે દેખાવો તેમજ કાર્યક્રમો શહિદ ભગતસિંહ ચોકમાં થતા આવ્યા છે. વધુમાં આ કોમ્પ્લેક્ષ જાહેર રસ્તાના કિનારા પર આવેલું છે ત્યારે મહાકાય હોર્ડિંગ્ઝ અને લોખંડની એંગલો કોઇના પર મોતનો માચડો બનીને ત્રાટકે તે પૂર્વે તંત્રએ પણ ગંભીરતાપૂર્વક વિચારણા કરી તાકિદના પગલા ભરવા જાેઇએ તેમ લોકોનું માનવું છે. ભુતકાળમાં ચોમાસાના સમય દરમિયાન ભાવનગરમાં કઇ-કેટલીય જગ્યાએ હોર્ડિંગ્ઝ તુટી પડવા, હવામાં ફંગોળાવા વિગેરે ઘટનાક્રમથી લોકોના જીવ પર જાેખમ ઉભુ થયું છે ત્યારે ઘોઘાગેઇટ ચોક તો સૌથી વધુ ચહલ-પહલવાળો વિસ્તાર છે. બિઝનેસ સેન્ટર પર પૂર્વ મંજુરી વગર ગેરકાયદે ખડકી દેવાયેલ આ હોર્ડિંગ્ઝ કાલ સવારે કોઇની માથે મોત બેઠુ કરે તો જવાબદારી કોની ? રૂપિયા રળવાની લાલચમાં લોકોના જીવ સાથે રમત કરવી કેટલા અંશે યોગ્ય ગણાશે ?!