ભાવનગરમાં સરીતા સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં તત્કાલીન સમયે બાંધકામ કરી દઈ દુકાનો ચણી લઈ શોપિંગ સેન્ટર બનાવાતા હવે વર્ષો બાદ આ બાંધકામ હટાવવા કોર્પોરેશન જાગી છે. જોકે, નિર્માણધીન ફ્લાયઓવર બ્રિજના વિકાસ આડે આ શોપિંગ સેન્ટર નડતરરૂપ બન્યું છે. આથી સમગ્ર શોપિંગ સેન્ટર હટાવવા મહાપાલિકાએ 260/2 મુજબ નોટીસ કાઢી છે, જેને લઇને દુકાનદારો કાર્યવાહી અટકાવવા હાઈકોર્ટે પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
તત્કાલીન સમયે કમિશનર ગાંધીના કાર્યકાળમાં શોપિંગ સેન્ટરની દુકાનોનો આગળનો કેટલોક ભાગ દૂર કરાવી રસ્તો કાઢવામાં આવ્યો હતો. હવે કોર્પોરેશન દ્વારા સમગ્ર શોપિંગ સેન્ટર દૂર કરવા ફરી વખતથી કાર્યવાહી હાથ ધરી ગત. તા.23 ફેબ્રુઆરીના નોટીસ આપી ગુપ્ત રાહે કાર્યવાહી હાથધરી હતી. જોકે, દુકાનદારો હાઇકોર્ટમાં પહોંચતા હવે તેઓને નવેસરથી સાંભળવા અને ત્યારબાદ શોપિંગ સેન્ટર અંગેનો નિર્ણય કરવા હાઈકોર્ટે જણાવ્યું છે, આથી બે દિવસ પૂર્વે કમિશનરે 31 દુકાનદારો પૈકી પ્રતિનિધિ મંડળને સાંભળ્યા હતા અને હવે ફરીથી નિર્ણય કરશે. હાઇકોર્ટના હુકમ મુજબ નિર્ણય કર્યા બાદ રજી.એડીથી તેની જાણ દુકાનદારોને કરી અમલવારી પૂર્વે 3 દિવસનો સમય આપવાનો રહેશે.
આમ, આ વિવાદી પ્રકરણ હાઇકોર્ટમાં પહોચ્યું છે, બીજી બાજુ અધિકારી પાંખ તરફથી પણ શાસકો સાથે આ અંગે જરૂરી મસલત ચાલી રહી છે, ગઈકાલે કમિશનર કચેરીમાં સ્ટેન્ડિંગ ચેરમેન એ લાંબી ચર્ચા વિચારણા કરેલ, જયારે મેયરનો રિવ્યૂ પણ લેવાશે તેમ જાણવા મળ્યું છે.
હાઈકોર્ટે દુકાનદારોની અરજી ન સ્વિકારી…
આ પ્રકરણમાં ઉપલબ્ધ વિગત મુજબ સરીતા શોપિંગ સેન્ટરના વિવાદી મામલે દુકાનદારો હાઇકોર્ટના દ્વાર ખટખટાવતા અરજી પ્રીમેચ્યોર ગણાવી તેનો સ્વિકાર કરાયો નથી પરંતુ અરજદારોને એક વખત સાંભળવા ફરમાન કરતા કમિશનરે એ સૂચનાને અનુસરી દુકાનદારોને સાંભળ્યા હતા, હવે હાઈકોર્ટની સૂચના મુજબ જે નિર્ણય આવે તેની અમલવારી પૂર્વે ત્રણ દિવસનો સમય આપવાનો રહેશે. આમ, હાઈકોર્ટે અરજીનો સ્વીકાર નથી કર્યો પરંતુ દુકાનદારોને રાહત થાય એ રીતે તેમની રજૂઆત સાંભળવા અને નિર્ણયની અમલવારી કરતા પૂર્વે તેઓને જાણ કરવા કમિશનરને સૂચના આપી રાહત કરી આપી હતી.