અમદાવાદ પોલીસે મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં શહેરના રિક્ષા-ટેક્સીચાલકોને QR કોડ સાથે એટેચ કરવામાં આવશે. જેથી આ ક્યુઆર કોડને ફોનમાં સ્કેન કરતા જ રિક્ષા-ટેક્સીચાલકની તમામ માહિતી મોબાઇલમાં આવી જશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ મહિલા સુરક્ષા માટે આ ઝૂંબેશ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા રિક્ષા અને ટેક્સી ડ્રાઈવરોની તમામ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 8 હજારથી વધુ રિક્ષાચાલકના ફોર્મ ભરવામાં આવ્યા છે.
પોલીસે 35 જેટલા ક્રાઈમ હોટ સ્પોટ વિસ્તારને ઓળખી કાઢ્યા છે. ક્રાઈમ હોટસ્પોટ સ્થળે 90 કેમેરા લગાવવામાં આવશે. તો નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ તમામ વિસ્તારમાં 667 CCTV લગાવાશે. પોલીસ દ્વારા 250 કેમેરા રિવરફ્રન્ટ પર, 150 વિવિધ સિટી બસ સ્ટોપ પર લગાવાશે. નોંધનીય છે કે, શહેરમાં કેટલાક રિક્ષા ચાલકો પેસેન્જરને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટી લેતા હોવાના અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. તો મહિલા સાથે છેડતીના પણ અનેક બનાવ સામે આવી ચૂક્યા છે. થોડા મહિના પહેલા અમદાવાદના પાલડીમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા યુવકને રાતનાં સમયે એકલતાનો લાભ લઈને લૂંટી લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. લૂંટની ઘટના બનતા આ મામલે પાલડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
માણેકબાગ ઉતરીને ફરિયાદી ચાલતા જઈ રહ્યા હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વધુ ભાડાની માંગ કરી બે આરોપીઓએ યુવકને પકડી રાખી અન્યએ મોબાઈલ, રોકડ અને પાકિટની લૂંટ ચલાવી હતી અને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જે મામલે પાલડી પોલીસે તપાસ કરતા સીસીટીવીમાં રિક્ષા દેખાતા તેનાં આધારે રાણીપમાં રહેતા બન્ને આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને પૂર્ણ બહુમતી, જ્યારે મેઘાલયમાં ભાજપે આપ્યું NPPને સમર્થન
ચૂંટણી પરિણામને લઇ ભાજપ-કોંગ્રેસ આમને-સામને: જયરામ રમેશ અને હેમંત બિસ્વા વચ્ચે ટ્વિટર યુધ્ધ
ઉત્તર પૂર્વના ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને પૂર્ણ બહુમતી મળી છે, જ્યારે મેઘાલયમાં ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ને સમર્થન આપ્યું છે. બીજી તરફ ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસને નબળા પરિણામો મળ્યા છે. જોકે જ્યારે જયરામ રમેશે ચૂંટણી પરિણામો પર ટ્વીટ કર્યું ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમને ટોણો માર્યો હતો.
જયરામ રમેશે ટ્વીટ કરીને પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ જીતેલી બેઠકો વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યું, “આજની વિધાનસભા ચૂંટણીના પરિણામો – INC 33 વર્ષ પછી મહારાષ્ટ્રમાં કસ્બા પેઠ જીતી, પશ્ચિમ બંગાળમાં સાગરદિઘી બેઠક કોંગ્રેસે 51 વર્ષ પછી જીતી, કોંગ્રેસ ત્રિપુરામાં 0 થી 5 બેઠકો પર, મેઘાલયમાં 5 બેઠકો (21 વર્તમાન ધારાસભ્યોને હાઇજેક કરવા છતાં)”. હિમંતા બિસ્વા સરમાએ જયરામ રમેશના આ ટ્વીટનો જવાબ આપ્યો. તેમણે લખ્યું, ત્રણ રાજ્યોની હારને સિદ્ધિમાં ફેરવી દે તેવી કથા બનાવીને અસ્પષ્ટતામાં જીવવાની કોંગ્રેસની ક્ષમતાની પ્રશંસા થવી જોઈએ!
મહત્વનું છે કે, જયરામ રમેશે મેઘાલયમાં NPP અને BJP વચ્ચે ચૂંટણી પછીના ગઠબંધન પર કટાક્ષ કર્યો. તેણે આ ‘ગેમ’નો શ્રેય ત્રણ S એટલે કે (અમિત) શાહ, (હિમંતા બિસ્વા) સરમા અને (કોનરાડ) સંગમાને આપ્યો. રમેશે ટ્વીટર પર લખ્યું, આ ત્રણેય એસ – શાહ, સરમા અને સંગમા દ્વારા રમાયેલ એક સુનિયોજિત રમત છે. આ તરફ આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વાએ ગુરુવારે દાવો કર્યો હતો કે, મેઘાલયના મુખ્ય પ્રધાન અને નેશનલ પીપલ્સ પાર્ટીના સુપ્રીમો કોનરાડ સંગમાએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ફોન કર્યો હતો અને નવી સરકાર બનાવવા માટે તેમનો ટેકો અને આશીર્વાદ માંગ્યા હતા. બીજી તરફ સંગમાએ એનપીપીને સમર્થન આપવા બદલ ભાજપનો આભાર માન્યો હતો.
નાગાલેન્ડમાં રચાયો ઈતિહાસ,નેફિયુ રિયો 5મી વખત બનશે મુખ્યમંત્રી
નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણીના પરિણામો ઘણી રીતે મહત્વપૂર્ણ હતા. એક તરફ, ભાજપ અને તેના સહયોગી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ રાજ્યમાં પુનરાગમન કર્યું, 37 બેઠકો જીતી અને સંપૂર્ણ બહુમતી મેળવી. બીજી તરફ, નેફિયુ રિયો સતત પાંચમી વખત મુખ્યપ્રધાન પદ સંભાળવા માટે તૈયાર છે. આ સિવાય રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર કોઈ મહિલા ધારાસભ્યની ચૂંટણી જીતી છે.
ભાજપે રાજ્યમાં 12 બેઠકો જીતી છે, જ્યારે તેના સહયોગી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીએ 25 બેઠકો જીતી છે. રાજ્યમાં ગઠબંધનની જીત પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું, “રાજ્યની સેવા કરવા માટે ગઠબંધનને વધુ એક જનાદેશ આપવા માટે હું નાગાલેન્ડના લોકોનો આભાર માનું છું. રાજ્યની પ્રગતિ માટે ડબલ એન્જિન સરકાર કામ કરતી રહેશે. હું મારા પક્ષના કાર્યકરોની તેમની સખત મહેનત માટે પ્રશંસા કરું છું, જેણે આ પરિણામ સુનિશ્ચિત કર્યું છે.
—–
દિલ્હીમાં આજેચીનના આક્રમક વલણ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા
‘ક્વાડ’ વિદેશ મંત્રીઓની આજે બેઠક: અમેરિકા,ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશ મંત્રી પણ રહેશે હાજર
ભારતના નેતૃત્વ હેઠળ ‘ક્વાડ’ના સભ્ય દેશોના વિદેશ મંત્રીઓની બેઠક આજે નવી દિલ્હીમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ.જયશંકર કરશે. નોંધનીય છે કે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન, ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને જાપાનના વિદેશ મંત્રી હયાશી યોશિમાસા આ બેઠકમાં ભાગ લેશે.
અગાઉ સપ્ટેમ્બર 2022માં ન્યૂયોર્કમાં ‘ક્વાડ’ના વિદેશ મંત્રીઓની બેઠક થઈ હતી. ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, આજે યોજાનારી બેઠક અગાઉની બેઠકની ચર્ચાઓ ચાલુ રાખવાની તક પૂરી પાડશે. ઉપરાંત, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તાજેતરના વિકાસ અને પરસ્પર હિતના પ્રાદેશિક મુદ્દાઓ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કરવામાં આવશે, જે એક ખુલ્લા, મુક્ત અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝન પર આધારિત છે.
આ તરફ વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ બેઠકમાં સભ્ય દેશો ક્વાડમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ સાથે તેમના રચનાત્મક એજન્ડાને આગળ વધારશે અને ક્ષેત્રની સમકાલીન પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનની વધતી આક્રમકતાની પૃષ્ઠભૂમિમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
—–
TMC એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે
વિપક્ષી એકતાના પ્રયાસો વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનર્જીએ વિપક્ષી એકતાની કવાયતને મોટો ઝટકો આપ્યો છે. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 2024ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે અને કોઈપણ રાજકીય પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. ટીએમસીનું ગઠબંધન લોકો સાથે રહેશે.
મમતા બેનર્જીએ કહ્યું કે ટીએમસી કોઈ રાજકીય પક્ષ સાથે જોડાણ નહીં કરે, પરંતુ સામાન્ય લોકો સાથે જોડાણ કરશે. જો લોકો ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી દૂર કરવા માગે છે, તો તેઓ અમને મત આપશે. તેમણે દાવો કર્યો કે લોકો તેમની સાથે છે. મમતાનું નિવેદન કોંગ્રેસના બાયરન બિસ્વાસે સાગરદિઘી પેટાચૂંટણીમાં લગભગ 23,000 મતોથી જીત્યા બાદ આવ્યું છે.
પશ્ચિમ બંગાળની સાગરદિઘી વિધાનસભા પેટાચૂંટણીમાંTMCને મોટો ઝટકો લાગ્યો છે. INCના બાયરન બિસ્વાસે આ સીટ જીતી છે. ટીએમસીના દેવાશિષ બેનર્જી બીજા નંબરે છે. તેમણે કહ્યું કે ભાજપ, કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) અથવા સીપીઆઈ(એમ) વચ્ચેના “અનૈતિક” જોડાણને કારણે કોંગ્રેસે સાગરદીઘી પેટાચૂંટણી જીતી છે.
તેમણે કહ્યું કે જો તમે સાગરદીઘીમાં ભાજપનો વોટ શેર જુઓ તો તે લગભગ 22 ટકા હતો. આ વખતે, તેમણે તેમના મતો કોંગ્રેસ તરફ સ્થાનાંતરિત કર્યા અને માત્ર 13 ટકા મત મેળવી શક્યા. મમતા મમતાએ કહ્યું કે હું તેમને પૂછવા માંગુ છું કે તેઓ શા માટે ચૂપચાપ આવા ગઠબંધન કરી રહ્યા છે? ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન ભલે ચૂંટણી જીતી ગયું હોય, પરંતુ તે તેમની નૈતિક હાર છે. મમતાએ આરોપ લગાવ્યો કે તૃણમૂલ કોંગ્રેસની હાર માટે હું જનતાને દોષ આપતી નથી. જેઓ કોમ્યુનલ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓને હું દોષી ગણું છું. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ, કોંગ્રેસ અને સીપીઆઈ(એમ) વચ્ચે વ્યવહારિક સંબંધ છે.
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મુખ્ય પ્રધાનની ટિપ્પણીથી સ્પષ્ટ થઈ ગયું છે કે TMCની ભાજપ સાથે “સમાધાન” છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીની ટિપ્પણી સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુશ થશે. એવા સમયે જ્યારે ભાજપને હટાવવા માટે વિપક્ષી એકતાની જરૂર છે, ત્યારે મમતા ભાજપ સાથે સમાધાન કરીને પોતાને અને પોતાના ભત્રીજાને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
—–
આપણાં કેટલાંક પ્રાચીન પુસ્તકો અદૃશ્ય થઈ ગયાં છે- મોહન ભાગવત
શાસ્ત્ર અને પરંપરાની ફરી સમીક્ષા થવી જોઈએ, ભારતનો પરંપરાગત જ્ઞાનનો ભંડાર વિશાળ છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં જણાવ્યું હતું કે દરેક ભારતીયને દેશના પરંપરાગત જ્ઞાન આધારની કેટલીક મૂળભૂત જાણકારી હોવી જોઈએ. તેઓ નાગપુર જિલ્લાના કાન્હોલીબારા ખાતે આર્યભટ્ટ એસ્ટ્રોનોમી પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા.
મોહન ભાગવતે કહ્યું, “દરેક વ્યક્તિ પાસે પરંપરાગત રીતે શું છે તેના વિશે ઓછામાં ઓછું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ, આ શિક્ષણ પ્રણાલી અને લોકો વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. આરએસએસના વડાએ કહ્યું કે ઐતિહાસિક રીતે ભારત પાસે વસ્તુઓ પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમ હતો પરંતુ હુમલાઓએ “આપણી સિસ્ટમનો નાશ કર્યો અને આપણી જ્ઞાનની સંસ્કૃતિને ખંડિત કરી દીધી”. ભાગવતે કહ્યું, “આપણા વડવાએ બધું આપ્યું છે. પાછળથી શાસ્ત્રોમાં ઘણું બધું દાખલ કરવામાં આવ્યું. શાસ્ત્ર અને પરંપરાની ફરી સમીક્ષા થવી જોઈએ.
ભાગવતે કહ્યું કે જો ભારતીયો તેમના પરંપરાગત જ્ઞાન-વિજ્ઞાનના આધારને તપાસે અને શોધી કાઢે કે વર્તમાન યુગમાં જે સ્વીકાર્ય છે તે ભૂતકાળમાં પણ હતું, ‘દુનિયાની ઘણી સમસ્યાઓ આપણા ઉકેલોથી ઉકેલી શકાય છે’. ભારત બહારના ઘણા દેશો જ્ઞાનની માલિકી પર ગર્વ અનુભવે છે તેવો દાવો કરીને તેમણે એવા કેટલાક દેશોનું ઉદાહરણ આપ્યું કે જેઓ યોગનું જન્મસ્થળ હોવાનો દાવો કરે છે અને તેના પર માલિકી હક્ક મેળવવા પેટન્ટ પણ ફાઇલ કરે છે. ભાગવતે કહ્યું, “જ્ઞાન સાધકને જ્ઞાન આપવું જોઈએ. જ્ઞાન દરેક વ્યક્તિ સુધી પહોંચવું જોઈએ. તેમણે કહ્યું કે અન્ય લોકો પરવાનગી વિના જ્ઞાન લેવા માગતા હોવાથી એ જરૂરી છે કે આપણે ઓછામાં ઓછું જાણીએ કે આપણી પરંપરામાં શું છે.
ભાગવતે કહ્યું કેભારતનો પરંપરાગત જ્ઞાનનો ભંડાર વિશાળ છે, આપણાં કેટલાંક પ્રાચીન પુસ્તકો અદૃશ્ય થઈ ગયાં છે જ્યારે કેટલાંક કિસ્સાઓમાં નિહિત સ્વાર્થી તત્વોએ પ્રાચીન કાર્યોમાં ખોટો દૃષ્ટિકોણ દાખલ કર્યો છે. તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ હેઠળ તૈયાર કરાયેલા અભ્યાસક્રમમાં કેટલીક એવી બાબતો છે જે અગાઉ ખૂટતી હતી.