ભાવનગર, તા.૪
આગામી તા.૧૪મીથી શરૂ થતી ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષામાં બોર્ડ દ્વારા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લાના સંવેદનશીલ સેન્ટરો જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાવનગરમાં કુલ ૧૦ સેન્ટરોને સંવેદનશીલ જાહેર કરાયા છે. આ તમામ સંવેદનશીલ સેન્ટરોમાં ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો આગામી તા.૧૪ માર્ચથી આરંભ થઇ રહ્યો છે ત્યારે ભાવનગર જિલ્લામાં આ પરીક્ષાના આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જે મુજબ ભાવનગર શહેર અને જિલ્લામાં ધો.૧૦માં ૩૯,૭૨૭, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૨૪,૨૯૨ તથા ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૬૪૬ મળીને કુલ ૬૯,૬૬૫ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષામાં ધો.૧૦માં ૨ સેન્ટર સંવેદનશીલ અને ચાર સેન્ટરને અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. જ્યારે ધો.૧૨માં બે સેન્ટર સંવેદનશીલ અને બે સેન્ટર અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે. સમગ્ર જિલ્લામાં કુલ ૨૩૮ બિલ્ડિંગમાં ૨૩૮૨ બ્લોકમાં પરીક્ષા લેવાશે.
ધો.૧૦ની પરીક્ષા માટે ભાવનગર જિલ્લામાં ટાણામાં વિવેકાનંદ વિદ્યાલય તથા દિહોરના વિવેકાનંદ વિદ્યાલયને સંવેદનશીલ તથા સણોસરાના બજરંગદાસ બાપા વિદ્યાલય, ઠાડચના જીવન જ્યોત વિદ્યાલય, મોટા આસરાણાના રામકૃષ્ણ વિદ્યાલય તથા હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલયને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે.
જ્યારે ધો.૧૨માં હાજીપરના ઇશ્વરાનંદ વિદ્યાલય અને ભાવનગરના સહજાનંદ વિદ્યાલય શિવનગરને સંવેદનશીલ તથા ગારિયાધારના એમ.ડી.પટેલ હાઇસ્કૂલઇ અને વલ્લભીપુરના એમ. આર. દવે ગર્લ્સ હાઇસ્કૂલને અતિ સંવેદનશીલ સેન્ટર જાહેર કરાયા છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા સંવેદનશીલ સેન્ટરોમાં સ્ક્વોર્ડ સહિત ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવશે.