કોર્પોરેટ બેંક, તથા શેર માર્કેટમાં છેલ્લા એકાદ દોઢ માસથી અદાણી પ્રકરણથી સર્જાયેલા અનેકવિધ સવાલો તથા તપાસ કરવાનાં સર્વોચ્ચ અદાલતના આદેશ વચ્ચે હવે બેંકીંગ નિયમનકાર રીઝર્વ બેન્કે દેશના 20 કોર્પોરેટ ગૃહોને વોચ હેઠળ રાખ્યા છે અને બેંક ખાનગી ઋણ સહીતનાં પાસાઓની ચકાસણી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રાલયનાં ટોચના સુત્રોએ કહ્યું કે દેશનાં ટોચનાં 20 ઉદ્યોગ ગૃહો પર રીઝર્વ બેન્કે ઝીણવટભરી વોચ શરૂ કરી છે. બેંકોનાં જંગી ઋણના સંજોગોમાં સંભવીત જોખમ સામે આગોતરી કાર્યવાહી કે સ્કીમ તૈયાર કરવાનો ઈરાદો હોવાનું માનવામાં આવે છે. રિઝર્વ બેન્ક દ્વારા કોર્પોરેટ લોન પર નિયમીત દેખરેખ રાખવામાં આવતી જ હોય છે. પરંતુ તે સિવાયની વધારાની ચકાસણી શરૂ કરવામાં આવી છે. આ સિવાય રીઝર્વ બેંક દ્વારા આ કંપનીઓની નફાકારકતા તથા અન્ય નાણાકીય પાસાઓની ચકાસણી કરવા ઉપરાંત બેંક સિવાયના બાહ્ય ઋણના આંકડા તપાસ હેઠળ લેવામાં આવ્યા છે.
કોર્પોરેટ કંપની પર કોઈ નાણાકીય દેવાનું દબાણ છે કે કેમ તે ચકાસવાનો ઈરાદો છે. એક સીનીયર અધિકારીએ કહ્યું કે કંપનીનાં નાણાકીય પરફોમન્સમાં કોઈ દબાણ માલુમ પડવાના સંજોગોમાં ભવિષ્યમાં સંભવીત ખતરામાંથી બેંકોને આગોતરૂ રક્ષણ આપી શકાય.તેઓ હેતુસર મોનીટરીંગ સીસ્ટમ મુકવામાં આવી છે. તમામ પાસાઓ પર ઝીણવટપૂર્વક વોચ રાખવાનો રીઝર્વ બેન્કનો ઈરાદો છે.
આ માટે એક અલાયદી જ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. નાણાકીય પરફોમન્સ સિવાયના પાસાઓ પણ ચકાસવામાં આવશે. ભારતના ટોચના કોર્પોરેટ ગ્રુપ અદાણી સામે અમેરીકી રિસર્ચ કંપની શોર્ટ સેલર હિંડનબર્ગનાં સ્ફોટક આક્ષેપો સાથેના રીપોર્ટ પર બેંક-એલઆઈસી વગેરેના ધિરાણ રોકાણ સંબંધી પ્રશ્ર્નો સર્જાવા લાગ્યા હતા તેને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે આ નવી વ્યવસ્થા ગોઠવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવી રહ્યું છે.