12  ફેબ્રુઆરી 2023ના રોજ બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચના કરી હતી અને ત્યારથી સીટ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસની તપાસમાં સીટને એક મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે.
દર્શન સોલંકીના મોતની તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની વિશેષ તપાસ ટીમને એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ કર્યો છે. સીટના એક અધિકારીએ કહ્યું કે સોલંકીના હોસ્ટેલના રૂમમાંથી થોડા દિવસ પહેલા કાગળના ટુકડા પર લખેલી કથિત સ્યુસાઇડ નોટ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી પજવણીનો ઉલ્લેખ છે, જેનું નામ પમ લખવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યુંછે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી જે પછી લાગી આવતાં દર્શને આપઘાત કરી લીધો હતો.
12 ફેબ્રુઆરીએ દર્શન સોલંકીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી
અમદાવાદના રહેવાસી સોલંકીએ 12 ફેબ્રુઆરીએ કથિત રીતે હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સોલંકીના માતા-પિતા અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ તેમના મૃત્યુનું કારણ જાતિના ભેદભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. બોમ્બે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોત મામલે તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે જાતિને કારણે દર્શનનો તેના મિત્રોએ બહિષ્કાર કર્યો હતો.
			

                                
                                



