અમદાવાદના સરખેજમાં 4 દિવસ અગાઉ પરિણીતાએ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો, ત્યારે હવે બીજો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સાસરીમાં જ રહેતા યુવકે સાસરિયાના ત્રાસથી આપઘાત કરી દીધો છે. સાસરિયાઓના ત્રાસને કારણે યુવકે ગળેફાંસો ખાતા પહેલા વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં આપવામાં આવેલા ત્રાસની આપવીતી વર્ણવી તેમને કડકમાં કડક સજા અપાવવાની વાત પણ કરી રહ્યો છે. સરખેજ પોલીસે સમગ્ર મામલે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વેજલપુરમાં રહેતા અક્ષય નામના યુવકની સગાઈ શાહપુરમાં રહેતી પ્રિયંકા સાથે થઈ હતી. સગાઈ બાદ અક્ષયના સાસરિયાઓએ પોતાની તરફ કરી દેતા તે સગાઈ બાદ સાસરીમાં જ રહેતો હતો. ત્યાર બાદ તેના લગ્ન સમાજના રીત રિવાજ પ્રમાણે થયા હતાં. અક્ષયની પત્ની પ્રિયંકા હાલમાં ગર્ભવતી છે. લગ્નના 25 દિવસ બાદ અક્ષય તેની પત્ની સાથે પોતાના ઘરમાં રહેવા આવ્યો હતો. ત્યાર બાદ તે પોતાની સાસરીમાં પાછો જતો રહ્યો હતો.
આ દરમિયાન કોઈ સંબંધીને ત્યાં જમવા જવાનું હોવાથી તેની માતાએ વ્યવહારિક વાત કરી હતી. જેને લઈને અક્ષયની પત્નીએ અક્ષય સાથે ઝઘડો કર્યો હતો. પત્નીએ અક્ષયને તેના પિતા કે માતા સહિત કોઈની સાથે સંબંધ નહીં રાખવા દબાણ કર્યું હતું. તેમજ અક્ષયના સસરાએ લગ્નનો ખર્ચો પણ માંગ્યો હતો. તે ઉપરાંત તેની પાસે પ્રિયંકાના માતા-પિતાનું પણ ભરણપોષણ કરવાનું દબાણ કરવામાં આવ્યું હતું. તેને ધમકી આપવામાં આવતી હતી અને ગાળો બોલીને મારઝૂડ પણ કરવામાં આવતી હતી. તેના સંતાનનું મોઢું પણ નહીં બતાવા સુધી ધમકાવાતી હતી.
એક વખત તેને પોતાના સંબંધીને ત્યાં જઈને બધી હકીકત કહી હતી. જેથી તેની માતાએ તેને સમજાવીને પોતાના ઘરે બોલાવ્યો હતો. એક વખત તે નોકરી કરવા ગયો હતો, ત્યારે તેણે ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં આપઘાતના વીડિયો મૂક્યા હતાં. સમગ્ર ઘટનામાં અક્ષયના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.