મહારાષ્ટ્રમાં મુખ્ય વિપક્ષી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં ભંગાણની અટકળોનો આખરે એક દિવસના નાટક પછી સાંજ સુધીમાં અંત આવ્યો. અજિત પવાર મંગળવારે સાંજે મુંબઈમાં આયોજિત NCPની ઈફ્તાર પાર્ટીમાં પાર્ટીના સુપ્રીમો અને તેમના કાકા શરદ પવાર સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન પવારની પુત્રી સુપ્રિયા સુલે પણ સાથે જોવા મળી હતી.
અગાઉ મંગળવારે બપોરે અજિત પવારે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ સાથે જવાની અટકળોને નકારી કાઢી હતી. જોકે એવા સમાચાર છે કે, અજિત પવાર બળવો કરવા મક્કમ હતા, પરંતુ શરદ પવારે તાત્કાલિક પગલાં લઈને તેમના પગલાંને નિષ્ફળ બનાવ્યું.
આ તમામ અટકળો NCPમાં બીજા નંબરના નેતા ગણાતા કાકા શરદ પવાર સાથે અજિત પવારની નારાજગીના સમાચાર સાથે શરૂ થઈ હતી. એવું કહેવામાં આવ્યું છે કે, અજીત ફરી એકવાર ભાજપ સાથે હાથ મિલાવવા માંગે છે, જ્યારે પાર્ટી સુપ્રીમો પવાર આ માટે તૈયાર નથી. અગાઉ અજિત પવારે વર્ષ 2019માં ભાજપને સમર્થન આપ્યું હતું.
આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, કેન્દ્રીય એજન્સીઓના દબાણ બાદ અજિત પવાર પક્ષ બદલીને ભાજપમાં જોડાવા માંગે છે. જોકે ઘણા રાજકીય નિષ્ણાતો આને NCPની અંદર અજિત પવાર અને સુપ્રિયા સુલે વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષના પરિણામ તરીકે જોઈ રહ્યા હતા.
મહત્વનું છે કે, શરદ પવાર, સુપ્રિયા સુલે, ઉદ્ધવ ઠાકરે અને UBT સેનાના સાંસદ સંજય રાઉસે અજિત પવારની NCPના જૂથને તોડવાની ચર્ચા વચ્ચે કોન્ફરન્સ કૉલ કર્યો હતો. અજિત પવાર આમાં સામેલ ન હતા. આ દરમિયાન અજિત પવાર એનસીપીના કેટલાક ધારાસભ્યો સાથે અલગથી મળ્યા હતા અને તેઓએ અજીતના તમામ નિર્ણયોમાં સમર્થનની ખાતરી આપી હતી. આ બધાની વચ્ચે સમાચાર એવા પણ સામે આવ્યા કે, NCPના 54માંથી 40 ધારાસભ્યો અજિત પવારની સાથે છે. આ તમામ 40 ધારાસભ્યોના સમર્થન પત્ર પર સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, શરદ પવારે આ તમામ અટકળોને ફગાવી દીધી હતી કે અજિત પવારે કોઈ બેઠક બોલાવી નથી અને NCPના તમામ 54 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.
આ પછી અજિત પવાર પણ મીડિયાની સામે આવ્યા અને કહ્યું કે, તેઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેમની પાર્ટી માટે કામ કરતા રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, ‘મેં કોઈ ધારાસભ્યની સહી લીધી નથી. હવે બધી અફવાઓ બંધ કરવી જોઈએ. અજિત પવારે કહ્યું કે, કેટલાક મીડિયા અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે, મેં મંગળવારે ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ તદ્દન ખોટું છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, મેં મારા પક્ષના ધારાસભ્યો અને પદાધિકારીઓની કોઈ બેઠક બોલાવી નથી. આવા અપ્રમાણિત સમાચાર પક્ષના કાર્યકરોને નુકસાન પહોંચાડે છે અને તેમની વચ્ચે મૂંઝવણ ઊભી કરે છે.




