બેન્કમાં રૂપિયા ભરવા આવતા લોકોને યુક્તિ પ્રયુક્તિથી છેતરી રૂપિયા પડાવી લેતા ત્રણ સામે કાપોદ્રામાં ગુનો નોંધાયો હતો. કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે બેંકમાં રૂપિયા ભરવા ગયેલા રત્નકલાકારને બે ગઠીયાઓએ 1.80 લાખની રકમ ખાતામાં ભરવાનું કહી યુવક પાસેથી 30 હજારની રકમ લઈ રૂમાલમાં કાગળની નોટો પધરાવી ભાગી ગયા હતા. પોલીસે તપાસ કરતા ત્રણ આરોપી ઝડપાયા હતા.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં 19મી તારીખે સવારે રત્નકલાકાર હિતેશ બેંકમાં પૈસા ભરવા માટે ગયો હતો. બેંકમાં રૂપિયા જમા કરાવવા લાઇનમાં ઊભો હતો. તે વખતે એક ગઠીયો તેની પાછળ ઊભેલો હતો. ગઠીયાએ હિતેશને કહ્યું કે, મારી પાસે 1.80 લાખની રકમ છે, જો કે મને બેંક ખાતાનો નંબર યાદ નથી. મારી મદદ કર એમ કહી બહાર લઈ ગયો હતો. બહાર અન્ય એક ગઠીયો ઊભેલો હતો.
બેંકમાં મળેલા શબ્સે કહ્યું કે, આ મારો મિત્ર છે અને તેની માતા યુપીમાં રહે અને તે બીમાર છે. મારા મિત્રને પૈસાની જરૂર છે અને તેને મળવા માટે યુપી જવું છે. રત્નકલાકારને વિશ્વાસમાં લઈ રૂમાલમાં વિંટાળેલા 1.80 લાખની રકમ આપી છે એમ કહીને તેની પાસેથી 30 હજારની રકમ પડાવી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. રત્નકલાકારે બેંકમાં રૂપિયા ભરવા માટે રૂમાલ ખોલ્યો તો તેમાંથી કાગળની નોટો મળી હતી ત્યારબાદ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
સુરત, ACP, વિપુલ પટેલના જણાવ્યા પ્રમાણે, પોલીસે મિતેષભાઇ વામનભાઇ રાઠોડ, કમલેશભાઇ ઉર્ફે રાજશા સત્યનારાયણ તીવારી અને વિનયસિંગ અનિલસિંગ રાજપુતને ઝડપી પાડ્યા હતા. ગેંગના ત્રણ આરોપીઓને ઝડપી પાડતા સુરત શહેરના નવ જેટલા ગુના ઉકેલાઇ ગયા છે. આ ગેંગનો મુખ્ય આરોપી મિતેષ હત્યાના ગુનામાં આજીવન કેદની સજા મળેલી છે. જોકે તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. આ ગેંગ એટીએમ ખાતે રૂપિયા ઉપાડવા જતા લોકોને ટાર્ગેટ કરી છેતરપિંડી આચરતા હતા.






