સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જન્મ આપ્યા બાદ નવજાત બાળકોને ત્યજી દેવાના તેમજ બાળકોની હત્યાના બનાવો વધી રહ્યા છે. ત્યારે સાયલા હાઈવે પર શાપર ગામ પાસે નાળામાંથી ત્યજી દીધેલી હાલતમાં અંદાજે દોઢ વર્ષની બાળકીનો બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો અને આ મામલે ચોટીલા પોલીસે તપાસ હાથ ધરતા માતા-પિતાએ જ બાળકીની હત્યા નિપજાવી મૃતદેહને ફેંકી દીધો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા નિપજાવનાર માતા પિતાને ઝડપી પાડયા હતા.
મળતી માહિતી પ્રમાણે, સાયલા-ચોટીલા હાઈવે પર શાપર ગામ પાસે આવેલા નાળામાંથી શંકાસ્પદ અને બિનવારસી હાલતમાં અંદાજે દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ ચોટીલા પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી બાળકીના મૃતદેહનો કબજો લઈ ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. તેમાં બાળકીની હત્યા નીપજાવવામાં આવી હોવાનું ખુલતા પોલીસે બાળકીની હત્યા નીપજાવનાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીના કલાકોમાં બાળકીની હત્યા નિપજાવનાર માતા પિતાને ઝડપી પાડયા હતા અને જેમની આગવી ઢબે પૂછપરછ હાથ ધરતા બાળકીની હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ, ચુડા તાલુકાના કોરડા ગામે પરિવાર સાથે રહેતા મનસુખભાઈ જોગરાજીયાને લગ્નજીવન દરમિયાન સંતાનમાં 5 દીકરીઓ જન્મી હતી. આથી કોઈ કારણોસર દીકરીઓને લઈ ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું નહોતું. ત્યારે મનસુખભાઈ અને તેમના પત્ની પ્રકાશબેન પોતાની દોઢ વર્ષની દીકરી રૂહી સાથે બાઈક પર વ્યવહારિક કામે ખડગુંદા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન હાઈવે પર એક હોટલ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં માતા પિતા અને બાળકી નીચે પટકાયા હતા. દીકરી રૂહી અપશુકનિયાળ હોવાથી બાઈક સ્લીપ ખાઈ ગયું હોવાનું પિતા મનસુખભાઈએ જણાવી ત્યાં જ બાળકીનું ગળુ દબાવી હત્યા નિપજાવી દીધી હતી અને હત્યા નિપજાવ્યા બાદ માતા પ્રકાશબેને બાળકી રૂહીની લાશને હાઈવે પર શાપર ગામ પાસે નાળામાં અવવારું જગ્યાએ ફેંકી નાસી છૂટ્યાં હતા.



